હાઈકોર્ટમાં બિસ્માર રોડ રસ્તાને લઈ સુનાવણી શરૂ થઇ છે. આ દરમિયાન ઈસ્કોન બ્રિજ અકસ્માતને લઈ હાઈકોર્ટનું વલણ સામે આવ્યું છે. સુનાવણી દરમિયાન હાઈકોર્ટે રાજ્ય સરકારને વેધક સવાલ કર્યા હતા. હાઇકોર્ટે કહ્યું હતું કે, નબીરાઓ ખુલ્લેઆમ કાયદાનો ભંગ કરે છે. સરકારની ઈચ્છા શક્તિ હોય તો ઘણુ બધુ થઈ શકે છે. કાયદાનો ડર બેસાડવો એ સરકારનું કામ છે.
હાઇકોર્ટે કહ્યું હતું કે, રોડ રસ્તા પર થતાં સ્ટંટ રોકવા શું પગલા લેવાઈ રહ્યાં છે? નબીરાઓ ખુલ્લેઆમ કાયદાનો ભંગ કરે છે. સરકારની ઈચ્છા શક્તિ હોય તો ઘણુ બધુ થઈ શકે છે. કાયદાનો ડર બેસાડવો એ સરકારનું કામ છે. શા માટે બંન્ને કમિશનરો વિરુદ્ધ ચાર્જ ફ્રેમ ન કરવામાં આવે? કોર્ટ હવે પરેશાન થઈ ચૂક્યું છે. અમે તમને પુરતો સમય આપી ચૂક્યા છીએ. વર્ષ ૨૦૦૬, ૨૦૧૮ અને હવે ૨૦૨૩ આવી ચૂક્યું છે. આટલા વર્ષો બાદ પણ કોઈ એક્શન લેવાયા નથી.
ઉલ્લેખનીય છે કે, બુધવારે મધરાતે સર્જાયેલા નાના અકસ્માત મામલે ઇસ્કોન બ્રિજ પર ટોળું ભેગું થયું હતું. ત્યારે પાછળથી પૂરપાટ ઝડપે આવતી જેગુઆર કારે ટોળાને કચડી માર્યા હતા. જેમાં 9 લોકોના મોત નીપજ્યા હતા. જ્યારે અન્ય કેટલાક લોકો ઘાયલ થયા હતા. આ દુર્ઘટનામાં એક પોલીસ કોન્સ્ટેબલ અને હોમગાર્ડ જવાનનું પણ મોત નીપજ્યું હતું.
આ અકસ્માત બાદ સતત સવાલો થઇ રહ્યા હતા કે આખરે જેગુઆર કારની સ્પીડ કેટલી હતી? જોકે, હવે આ સ્પીડને લઇને ખુલાસો થયો છે. FSL રિપોર્ટમાં ગાડીની સ્પીડને લઈને ખુલાસો થયો છે. ગાડીની સ્પીડ 142.5ની હોવાનો ખુલાસો થયો છે. અકસ્માત સમયે ગાડીની સ્પીડ 142.5 કિમી હોવાનો ખુલાસો સામે આવ્યો છે. ગાંધીનગર FSL દ્વારા રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે.