નડિયાદ-કપડવંજ રોડ પર અજાણ્યા વાહને 2 બાઇકને ટક્કર મારી હતી
કાથલાલ પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે નડિયાદ-કપડવંજ રોડ પર જૂની સંગીતા હોટલ પાસે પૂરપાટ ઝડપે આવતા વાહને બે બાઇકને ટક્કર મારી હતી. જેના કારણે બાઇક સવાર વ્યક્તિનું મોત નીપજ્યું હતું. જોકે, અકસ્માત સર્જીને ચાલક ફરાર થઈ ગયો હતો. જ્યારે ત્રણ ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડાયા હતા. પ્રાથમિક તપાસમાં આ અકસ્માત મિનીટ્રક ચાલકના કારણે થયો હોવાનું બહાર આવ્યું છે. આ અંગે કાથલાલ પોલીસે ગુનો નોંધ્યો છે.
અનિલ રઘુભાઈ વટવા કાથલાલના પોરાડા ગામે રહે છે અને જીઆઈડીસીમાં નોકરી કરે છે. તેઓ તહેવાર દરમિયાન તેમના વતન પોરાડા આવે છે. દરમિયાન 5 માર્ચના રોજ સાંજે અનિલ ઘરે હતો ત્યારે તેના કાકાનો પુત્ર કરશન અભાભાઈ જીજે 7 EN 7483 નંબરની બાઇક પર આવ્યો હતો અને કાથલાલ માર્કેટમાં શાકભાજી લેવા જઉં છું તેમ કહ્યું હતું. જેથી કરશન અને અનિલ બાઇક પર કાથલાલ જવા નીકળ્યા હતા. તેઓ જૂની સંગીતા હોટલ પાસેથી પસાર થયા હતા અને થોડે દૂર ગયા હતા ત્યારે પાછળથી પૂરપાટ ઝડપે આવતા અજાણ્યા વાહનચાલકે તેમને ટક્કર મારી હતી. જેના કારણે બાઇક સ્લીપ થઇ જતાં બંને ભાઇઓને ગંભીર ઇજા પહોંચી હતી. આ સિવાય અનિલે જોયું કે મિનીટ્રકે બીજી બાઇક નંબર જીજે 7 ઇઇ 3206ને પણ ટક્કર મારી હતી. બાદમાં પુરપાટ ઝડપે ભાગી ગયો હતો. આ ઘટનાને પગલે આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને 108ને ફોન કરી તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. જેમાં કાથલાલના બાઇક સવાર ચતુરભાઇ માલુભાઇ વસાવા (રહે. સુંડા, તા. કપડવંજ)ને ગંભીર ઇજાઓ થતાં તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે કરશનને વધુ સારવાર માટે અમદાવાદ સિવિલમાં ખસેડાયો હતો. આ અંગે કાથલાલ પોલીસે અજાણ્યા મીની ટ્રક ચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.