નવીદિલ્હી,
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની 21 માર્ચે કથિત દારૂ કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. આ કેસની તપાસ કરી રહેલી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની ટીમે લાંબી પૂછપરછ બાદ તેની ધરપકડ કરી હતી. હાલ તે તિહાડ જેલમાં બંધ છે. બીજી તરફ સીએમ કેજરીવાલે EDના ધરપકડના પગલાની કાયદેસરતાને સુપ્રીમ કોર્ટમાં પડકારી છે. તેમના વતી વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવી સુપ્રીમ કોર્ટમાં હાજર થયા હતા. તેણે પોતાના ક્લાયન્ટ સીએમ કેજરીવાલની તરફેણમાં દલીલ કરી હતી. આ દરમિયાન તેમણે કહ્યું કે, તેમની પાસે એવા તથ્યો છે, જેના વિશે જાણીને કોર્ટનો અંતરાત્મા પણ હચમચી જશે. સીએમ કેજરીવાલે EDની ધરપકડને સુપ્રીમ કોર્ટમાં પડકારી છે. સુપ્રીમ કોર્ટમાં દલીલ કરતા અભિષેક મનુ સિંઘવીએ કહ્યું કે, ‘અમારી પાસે એવા તથ્યો છે, જે કોર્ટના અંતરાત્માને હચમચાવી શકે છે. દિલ્હી એક્સાઇઝ પોલિસીનો મામલો સપ્ટેમ્બર 2022નો છે. આ મામલે એફઆઈઆર અને એન્ફોર્સમેન્ટ કેસ ઈન્ફોર્મેશન રિપોર્ટ નોંધાયેલ છે. આ કેસમાં અત્યાર સુધીમાં 8 ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે અને 15ના નિવેદન નોંધવામાં આવ્યા છે. જોકે, આ દસ્તાવેજોમાં કેજરીવાલનું નામ સામેલ નથી.’
અભિષેક મનુ સિંઘવીએ પણ સિલેક્ટિવ લીક (ચોક્કસ તથ્યો લીક)નો મુદ્દો ઉઠાવ્યો અને કહ્યું કે, આ કેસ અને કેજરીવાલની છબી પર પ્રતિકૂળ અસર કરી રહી છે. સીએમ કેજરીવાલ સંબંધિત કેસની સુનાવણી જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ દીપાંકર દત્તાની બેંચ કરી રહી હતી. અભિષેક મનુ સિંઘવીએ સુપ્રીમ કોર્ટની બેંચ સમક્ષ પોતાની દલીલ રજૂ કરી હતી. સિંઘવીની દલીલ પર જસ્ટિસ ખન્નાએ કહ્યું કે, તમે તમારી દલીલો આગામી સુનાવણી માટે અનામત રાખો. આ સાથે સુપ્રીમ કોર્ટની બેન્ચે આ કેસની સુનાવણી 29 એપ્રિલ સુધી મુલતવી રાખી છે. હવે કેજરીવાલની અરજી પર 29 એપ્રિલે સુનાવણી થશે. જોકે સિંઘવી ઇચ્છે છે કે, સુનાવણી તાત્કાલિક થાય. કોર્ટે કહ્યું કે, હાલમાં કોઈ તારીખ નથી. આ મામલે 29મી એપ્રિલે જ સુનાવણી થશે. દિલ્હીની તિહાર જેલમાં બંધ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને રાઉઝ એવન્યુ કોર્ટમાંથી પણ રાહત મળી શકી નથી. વિશેષ ન્યાયાધીશ કાવેરી બાવેજાએ તેમની ન્યાયિક કસ્ટડી 23 એપ્રિલ સુધી લંબાવી છે. કોર્ટે કેજરીવાલને 23 એપ્રિલે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કોર્ટમાં હાજર થવા જણાવ્યું છે. જણાવી દઈએ કે, કેજરીવાલની દિલ્હીની રદ કરાયેલી એક્સાઈઝ પોલિસી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરવામાં આવી છે. રાહત માટે તેણે ટ્રાયલ કોર્ટ, દિલ્હી હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો છે, પરંતુ હજુ સુધી તેને રાહત મળી નથી.