દિલ્હીના લાલ કિલ્લા પાસે થયેલા ઘાતક વિસ્ફોટની તપાસમાં અમેરિકાએ ભારતને મદદ કરવાની ઓફર કરી છે. જો કે અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂબિયોએ ભારતીય એજન્સીઓની પ્રશંસા કરી છે અને કહ્યું છે કે ભારતીય અધિકારીઓ ખૂબ જ પ્રોફેશનલ રીતે તપાસ કરી રહ્યા છે અને તેમને અમેરિકન મદદની જરૂર નથી.
રૂબિયો બુધવારે કેનેડામાં યોજાયેલી G7 વિદેશ મંત્રીઓની બેઠક બાદ પત્રકારો સાથે વાત કરી રહ્યા હતા. તેમણે કહ્યું, અમે મદદની ઓફર કરી છે, પરંતુ હું માનું છું કે તેઓ (ભારતીય તપાસ એજન્સીઓ) ખૂબ સક્ષમ છે. તેમને અમારી મદદની જરૂર નથી અને તેઓ સારું કરી રહ્યા છે.
આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે 10 નવેમ્બરના રોજ દિલ્હીમાં લાલ કિલ્લાની નજીક એક પ્રચંડ વિસ્ફોટમાં ઓછામાં ઓછા 12 લોકો માર્યા ગયા હતા અને ડઝનેક ઘાયલ થયા હતા. વિસ્ફોટ પછી સુરક્ષા એજન્સીઓએ મોટા પાયે તપાસ શરૂ કરી છે. ફોરેન્સિક ટીમો અને આતંકવાદ વિરોધી એકમો હુમલા પાછળના ષડયંત્ર અને જવાબદારોને શોધવા માટે સ્થળ પરથી સતત પુરાવા એકત્રિત કરી રહ્યા છે.
અમેરિકાએ શોક વ્યક્ત કર્યો
યુએસ એમ્બેસીએ પણ આ ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. ભારતમાં યુએસ એમ્બેસેડર સર્જિયો ગોરે 11 નવેમ્બરના રોજ ‘X’ પર પોસ્ટ કરીને લખ્યું, અમારી સંવેદના એ પરિવારો સાથે છે જેમણે દિલ્હીમાં ભયાનક વિસ્ફોટમાં પોતાના પ્રિયજનોને ગુમાવ્યા છે. અમે ઘાયલોની ઝડપથી સ્વસ્થ થવાની કામના કરીએ છીએ.
જયશંકર-રુબીઓની બેઠકમાં પણ ચર્ચા
આ દરમિયાન વિદેશ મંત્રી એસ. જયશંકરે કેનેડામાં જી 7 મીટિંગ દરમિયાન યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયો સાથે દ્વિપક્ષીય વાતચીત કરી હતી. બંને નેતાઓએ વેપાર, સપ્લાય ચેન, યુક્રેન યુદ્ધ, મધ્ય પૂર્વની સ્થિતિ અને ભારત-અમેરિકા સંબંધો અંગે ચર્ચા કરી હતી.

