ક્વેટા. પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં રવિવારે બપોરે ચીની એન્જિનિયરો પર આતંકી હુમલો થયો હતો. આ હુમલામાં 4 ચીની એન્જિનિયર, 9 પાકિસ્તાની સૈનિક અને બે આતંકવાદીઓ માર્યા ગયા છે. જ્યારે 27 લોકો ઘાયલ થયા છે.
ચીન-પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોરના થર્મલ પાવર પ્રોજેક્ટ માટે ચીનના એન્જિનિયરો અહીં હાજર છે. બે વર્ષ પહેલા પણ અહીં ચીની એન્જિનિયરો પર ફિદાયીન હુમલો થયો હતો. તેમાં 9 એન્જિનિયરોના મોત થયા હતા.
પાકિસ્તાન સરકાર અને સેના તરફથી સત્તાવાર રીતે મૃતકોની સંખ્યા વિશે કોઈ માહિતી આપવામાં આવી નથી. જો કે સેનાએ નિશ્ચિતપણે દાવો કર્યો હતો કે પહેલા બે આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા છે. બલૂચ લિબરેશન આર્મીએ એક નિવેદનમાં હુમલાની જવાબદારી લીધી છે.
બલૂચિસ્તાનમાં ચીનની સેના અને ટેકનિકલ સ્ટાફ પર ભૂતકાળમાં પણ હુમલા થયા છે. આ વખતે હુમલાની જવાબદારી પણ બલૂચ લિબરેશન આર્મી દ્વારા લેવામાં આવી છે. તેણે સોશિયલ મીડિયા પર નિવેદન જાહેર કર્યું. કહ્યું- અમારા બે શહીદ રવિવારના હુમલામાં સામેલ હતા. તેમના નામ નાવેદ બલોચ અને ખુદા બક્ષ ઉર્ફે અસલમ બલોચ છે. બંને તુર્બત વિસ્તારના રહેવાસી હતા. બંને મજીદ બ્રિગેડના છે.