ગાંધીનગરઃ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે ગાંધીનગર ખાતેથી આણંદમાં નિર્માણ પામનારા નેશનલ કો-ઑપરેટિવ ડેરી ફેડરેશન ઑફ ઇન્ડિયા (NCDFI)ના મુખ્યાલયનો વર્ચ્યુઅલ શિલાન્યાસ કર્યો હતો. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન ઈ-માર્કેટ પ્લેટફૉર્મ મારફતે વિવિધ ડેરી ઉત્પાદનો અને કૃષિ ઉપજોનો વેપાર કરનારા અને સેવાઓ પૂરી પાડનારા ડેરી સહકારી મંડળીઓના હિતધારકોના પ્રયાસોને સન્માનિત કરતા NCDFI ઈ-માર્કેટ એવોર્ડ્સ પણ એનાયત કરવામાં આવ્યાં હતાં. ભારતના 25 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના 37 વિજેતા સંગઠનોને આ અન્વયે આ પુરસ્કારો એનાયત કરાયા હતા.
NCDFI મુખ્યાલયના શિલાન્યાસ પ્રસંગે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, ભારતે આજે વિશ્વ સમક્ષ ડેરી અને દૂધ ઉત્પાદન ક્ષેત્રે અનેક બહુઆયામી લક્ષ્ય સિદ્ધ કર્યા છે. સહકારી ડેરી ઉદ્યોગથી માત્ર દૂધ ઉત્પાદક જ નહિ, પરંતુ સમગ્ર સમાજ, ગામ અને કૃષિ ક્ષેત્રને પણ અનેક લાભ મળે છે. તેમણે સહકારી ડેરીના લાભ ગણાવતા કહ્યું હતું કે, દરેક ગામ, દરેક જિલ્લા અને રાજ્યોમાં પણ દૂધ સંઘો કાર્યરત હોવાથી ગામડાંના દૂધ ઉત્પાદકોને દૂધ સંઘ મારફત દૂધના પોષણક્ષમ ભાવ મળે છે. અને તેમનું શોષણ થતું અટકે છે.
તેમણે વધુમાં ઉમેર્યું કે, સહકાર ક્ષેત્રથી માત્ર દૂધના પોષણક્ષમ ભાવ જ નહિ, પરંતુ જિલ્લા દૂધ ઉત્પાદક સંઘો દ્વારા પશુઓની નસલ સુધારા, પશુ આરોગ્ય અને પશુ સારવારની પણ ચિંતા કરવામાં આવે છે. આ સાથે જ કુપોષિત બાળકોને પોષણયુક્ત દૂધ પહોંચાડીને સહકારી ડેરીઓ પોષણ અભિયાનમાં પણ પોતાનું મહત્વપૂર્ણ યોગદાન આપી રહી છે.
તેમણે અમદાવાદ જિલ્લાની સહકારી ડેરીનું ઉદાહરણ આપતા જણાવ્યું હતું કે, અમદાવાદ જિલ્લા દૂધ સંઘ દ્વારા સગર્ભા માતાઓને લાડુ વિતરણ કરવામાં આવે છે. જેથી તેઓ કુપોષણ મુક્ત બાળકને જન્મ આપી શકે.