ગાંધીનગરઃ લોકસભા ચૂંટણી 2024 પહેલા ભાજપ હાઈકમાન્ડે ગુજરાતના મુદ્દાને ગંભીરતાથી લીધો હોવાનું સાબિત થઈ ગયું છે. ગઈકાલે નવી દિલ્હી પહોંચેલા સીએમ ભૂપેન્દ્ર પટેલે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મહત્વપૂર્ણ બેઠક કરી હતી. આ બેઠકમાં ગુજરાતના મુદ્દે લાંબી રાજકીય ચર્ચા થઈ હોવાની માહિતી સામે આવી છે. જો કે આ વખતે બેઠકની માહિતી અત્યંત ગુપ્ત રાખવામાં આવી રહી છે, આથી ભાજપ છાવણીમાં જ રાજકીય અટકળો શરૂ થઈ ગઈ છે.
છેલ્લા બે-ત્રણ મહિનાથી ગુજરાતના મુદ્દાને લઈને ભાજપ હાઈકમાન્ડ દ્વારા બેઠકોનો સિલસિલો ચાલી રહ્યો છે. આ પહેલા દાદા, પ્રદેશ ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલ પીએમ મોદીને મળ્યા હતા. જ્યારે મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કે. કૈલાશનાથનને પણ દિલ્હી બોલાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત વિસ્તારના ભાજપ સંગઠન મહામંત્રી રત્નાકર પણ નારાજ હતા. આ પછી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગાંધીનગરમાં દાદા અને સીઆર પાટીલ સાથે સાડા પાંચ કલાક સુધી બેઠક કરી હતી. તાજેતરમાં, પીએમ મોદી તેમની બે દિવસીય ગુજરાત મુલાકાતેથી પરત ફર્યા બાદ, સીએમ ભૂપેન્દ્ર પટેલ અચાનક નવી દિલ્હી આવ્યા હતા.
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે દાદા સાથે નવી દિલ્હીમાં લાંબી મુલાકાત કરી હતી. ટોચના સૂત્રોએ જણાવ્યું હતું કે ભાજપના રાષ્ટ્રીય સંગઠન મહાસચિવ બીએલ સંતોષે ગુજરાતમાં દાદા કેબિનેટ અને સંગઠનની કામગીરીની પણ સમીક્ષા કરી છે, જેમાં કેટલાક મંત્રીઓની કામગીરી સંતોષકારક નથી અને નબળી પણ જોવા મળી છે. પરિણામે કેબિનેટમાં જેમની કામગીરી નબળી ગણાતી હોય તેવા મંત્રીઓના સ્થાને નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવે તેવી શક્યતા છે.
આ સિવાય કેબિનેટમાં ખાતાઓની વહેંચણીમાં પણ ફેરફાર થઈ શકે છે. ભાજપના પ્રદેશ સંગઠનમાં કેટલીક જગ્યાઓ ખાલી હોવાથી નવી નિમણૂકોની પણ ચર્ચા થઈ છે. કેટલીક જ્ઞાતિઓના કલ્યાણ માટે રચાયેલા બોર્ડ-નિગમોમાં નવા અધ્યક્ષની નિમણૂક કરવામાં આવે તેવી ચર્ચા થઈ હોવાનું આંતરિક સૂત્રોમાંથી જાણવા મળ્યું છે. અગાઉ બીએલ સંતોષના રિપોર્ટના આધારે સમગ્ર રૂપાણી સરકાર ઘરે બેસી ગઈ હતી.