શક્તિપીઠ અંબાજી મંદિર કરોડો લોકોની આસ્થાનું કેન્દ્ર છે. ત્યારે મા જગતજનના અંબા મંદિરમાં દરરોજ હજારો ભક્તો માથું ટેકવીને આશીર્વાદ મેળવે છે. આ સાથે ધાર્મિક નગરી અંબાજીમાં અનેક ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાય છે. જેમાં માઇ ભક્તો અને ગ્રામજનો ઉત્સાહભેર ભાગ લઇ કાર્યક્રમને સફળ બનાવે છે. ત્યારે આજે યાત્રાધામ અંબાજીમાં શ્રીમદ ભાગવત જ્ઞાન સરિતાનો પ્રારંભ થયો હતો.
શક્તિપીઠ અંબાજી ખાતે આજે શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે. શ્રીમદ ભાગવત કથા શનિવાર 2/9/2023 થી શરૂ થશે અને સાત દિવસ સુધી ચાલશે. તો 8/9/2023 શુક્રવારના રોજ કથાની પૂર્ણાહુતિ થશે. શ્રીમદ ભાગવત કથાના પ્રારંભ પૂર્વે યાત્રાધામ અંબાજી શોભા યાત્રા કાઢવામાં આવી હતી. શોભાયાત્રામાં ગુજરાતના જાણીતા ગાયકોએ ભાગ લીધો હતો. અંબાજી મંદિર શક્તિદ્વારથી નીકળેલી શોભાયાત્રા જૂની કોલેજના મેદાનમાં આવેલી કથા સ્થળ પર પૂરી થઈ હતી. કથાના આયોજકો દાંતાના ભાઈ કે.રાણા અને અમદાવાદના હરિશ્ચંદ્ર ડી. પરમાર દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. આજે કથાના પ્રારંભે દીપ પ્રાગટ્ય કરી કથાનો પ્રારંભ કરાયો હતો. શોભાયાત્રા અને કથાનો લાભ લેવા મોટી સંખ્યામાં ભક્તો પહોંચ્યા હતા.