રક્ષા મંત્રી રાજનાથ સિંહ સોમવારે સિયાચીનની મુલાકાત પર છે, ત્યાં તેમણે વિશ્વના સૌથી ઊંચા યુદ્ધ મેદાનમાં તૈનાત સશસ્ત્ર દળોના સૈનિકો સાથે પણ મુલાકાત કરી હતી, ભારતીય સેનાએ ગયા અઠવાડિયે વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ સિયાચીન ગ્લેશિયર પર તેની હાજરીના 40 વર્ષ પૂર્ણ કર્યા. અગાઉ હોળીના અવસર પર રાજનાથ સિંહનો સૈનિકો સાથે તહેવાર મનાવવા માટે સિયાચીન જવાનો કાર્યક્રમ હતો, પરંતુ ખરાબ હવામાનને કારણે તેમનો કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવ્યો હતો. તે સમયે રક્ષા મંત્રી લેહમાં જ સૈનિકો સાથે હોળી મનાવીને પરત ફર્યા હતા.
કારાકોરમ રેન્જમાં લગભગ 20 હજાર ફૂટની ઉંચાઈ પર સ્થિત સિયાચીન ગ્લેશિયર વિશ્વના સૌથી ઊંચા સૈન્ય વિસ્તાર તરીકે ઓળખાય છે, જ્યાં સૈનિકોને ભારે હિમવર્ષા અને તેજ પવનનો સામનો કરવો પડે છે. ‘ઓપરેશન મેઘદૂત’ હેઠળ, ભારતીય સેનાએ એપ્રિલ 1984માં સિયાચીન ગ્લેશિયર પર પોતાનું સંપૂર્ણ નિયંત્રણ સ્થાપિત કર્યું.
સિયાચીન પહોંચ્યા બાદ, રક્ષા મંત્રી રાજનાથ સિંહ એ કહ્યું હતું કે, માતૃભૂમિની રક્ષા માટે સિયાચીન ગ્લેશિયર પર તૈનાત તમામ બહાદુર સૈનિકોને હું હૃદયપૂર્વક સલામ કરું છું. રાષ્ટ્ર પ્રત્યેના તમારા અપાર પ્રેમ માટે હું તમને બધાને સલામ કરું છું. સિયાચીનમાં ‘ઓપરેશન મેઘદૂત‘ની સફળતા આપણા બધા ભારતીયો માટે ગર્વની વાત છે. વિશ્વના આ સર્વોચ્ચ યુદ્ધક્ષેત્રમાં આપણા દળોએ બતાવેલી બહાદુરી પર અમને ગર્વ છે, સૈનિકોની પ્રશંશા કરતાં તેમણે કહ્યું હતું કે, દેશની સરહદોની રક્ષા માટે તમે હંમેશા સર્વસ્વ બલિદાન આપવા તૈયાર છો. તમારી દેશભક્તિ આપણા બધા ભારતીયો માટે પ્રેરણારૂપ છે, એક કૃતજ્ઞ રાષ્ટ્ર વતી તમને એક પ્રતિનિધિ તરીકે મળવું એ મારા માટે હંમેશા ગર્વની વાત છે.