(GNS),27
ગુજરાતમાં હાર્ટ એટેકના કારણે મોતનો સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યું. જ્યાં નવરાત્રિ પર્વ દરમિયાન હાર્ટ એટેકના કારણે મૃત્યુના કિસ્સા નોંધાયા હતા, તે નવરાત્રિ પછી પણ સતત બની રહ્યા છે. રાજ્યભરમાં ચાલતી વખતે યુવાનો અને આધેડ વયના લોકો મૃત્યુ પામી રહ્યા છે. ખાસ કરીને રાજકોટમાં હાર્ટ એટેકના કેસ ચિંતાજનક રીતે વધી રહ્યા છે. આજે પણ રાજકોટમાં હાર્ટ એટેકના કારણે બે મોત નોંધાયા છે. તો વડોદરામાં હાર્ટ એટેકથી એકનું મોત થતાં કુલ આંક ત્રણ પર પહોંચ્યો છે. રાજકોટમાં છેલ્લા 24 કલાકમાં હાર્ટ એટેકના કારણે વધુ બે મોત થયા છે. થોરાળા વિસ્તારના ગોકુલપરામાં રહેતા 38 વર્ષીય ગુણવંતભાઈ ચાવડાનું હૃદય ક્ષીણ થઈ ગયું હતું.
તો ગાંધીગ્રામ વિસ્તારના ગોવિંદનગરમાં રહેતા 53 વર્ષીય પરષોત્તમભાઈ જાદવનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું છે. બંનેને સારવાર અર્થે ખસેડવામાં આવતાં તબીબે મૃત જાહેર કર્યા હતા. વડોદરામાં વધુ એક વ્યક્તિનું હાર્ટ એટેકના કારણે મોત થયું છે. શહેરના હરણી સમા લીંક રોડ પર આવેલ મોટનાથ રેસીડેન્સીમાં રહેતા ભરત સુથારને હાર્ટ એટેક આવ્યો હતો. 49 વર્ષના ભરત સુથારનું હાર્ટ એટેકના કારણે મોત થતાં પરિવારમાં શોકનો માહોલ છે. ભરત સુથાર ખાનગી કંપનીના એચઆર વિભાગમાં નોકરી કરતો હતો. બુધવારે સવારે તેણે તેની પત્નીને પીઠના દુખાવાની જાણ કરી હતી અને કામ પર ગયો હતો, જ્યાં કામ કરતી વખતે તેને હાર્ટ એટેક આવ્યો હતો.