કાર્યક્રમના આમંત્રણને લઈને શરૂ થયેલો વિવાદ ભ્રષ્ટાચારના મુદ્દા સુધી પહોંચ્યો હતો.
(GNS),તા.30
રાજકોટ
રાજકોટ ભાજપમાં આંતરિક જૂથવાદ ચરમસીમાએ છે. મંગળવારે રાજકોટના વોર્ડ નંબર 3માં આયોજિત વિકાસ ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ દરમિયાન રાજ્યસભાના સાંસદ રામ મોકરિયા અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકર વચ્ચે શાબ્દિક બોલાચાલી થઈ હતી. કાર્યક્રમના આમંત્રણથી શરૂ થયેલો વિવાદ ભ્રષ્ટાચારના મુદ્દા સુધી પહોંચ્યો હતો. કાર્યક્રમના સ્થળે આવેલા રામ મોકરીયાએ સ્ટેન્ડીંગ ચેરમેનને જણાવ્યું હતું કે, મહાનગરપાલિકાના કાર્યક્રમમાં અધિકારીઓને બદલે મનપાના કર્મચારીઓ દ્વારા આમંત્રણ આપવામાં આવે છે. જેના જવાબમાં સ્ટેન્ડિંગ ચેરમેને સાંસદને પ્રોટોકોલ સમજાવ્યો હતો. જેના કારણે રામ મોકરીયા રોષે ભરાયા હતા અને સ્ટેન્ડિંગ ચેરમેનને કહ્યું હતું કે મહાનગરપાલિકામાં ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે. હું સારી રીતે જાણું છું કે તમે, શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશી અને ઉપપ્રમુખ ભરત બોઘરા શું કરો છો. જેના જવાબમાં સ્ટેન્ડિંગ ચેરમેને કહ્યું હતું કે તમે સાંસદ છો, ખોટી વાત ના કરો, પુરાવા આપો. કાર્યક્રમના અધ્યક્ષ રાઘવજી પટેલે આ તમામ બાબતમાં દરમિયાનગીરી કરીને આ કાર્યક્રમ મનપાઓ માટે છે અને બીજી કોઈ વાત કરવાની નથી તેમ કહી મામલો થાળે પાડ્યો હતો. રાજકોટમાં ઉભરાતા સાંપ્રદાયિકતાનો મામલો ગાંધીનગર સુધી પહોંચ્યો હતો.