દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે હીરાસર એરપોર્ટ લોકાર્પણ માટે રાજકોટ આવી રહ્યા છે. તેમની મુલાકાત દરમિયાન રેસકોર્સ ખાતે જાહેર સભાનું આયોજન કરાયું છે. જેમાં PM મોદીનાં હસ્તે ફ્લાય ઓવરબ્રિજ સહિત શહેરની સૌથી મોટી લાયબ્રેરી અને સૌની યોજના-3ની પાઈપલાઈન સહિત મનપાનાં કુલ રૂ. ૨૩૪ કરોડના વિકાસ કામોનું પણ લોકાર્પણ કરવામાં આવનાર છે. આ માટે મનપા તંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે.
મનપા દ્વારા વોર્ડ નં.૬નાં ૧૫૯૬.૬૩ ચો.મી.માં શહેરની સૌથી મોટી લાયબ્રેરીનું રૂ. ૮.૩૯ કરોડના ખર્ચે નિર્માણ કરવામાં આવ્યું છે. તેમજ કેકેવી ચોક ખાતે મલ્ટીલેવલ ફ્લાય ઓવરબ્રિજ રૂ. ૧૨૯.૫૩ કરોડના ખર્ચે તૈયાર કરી લેવામાં આવ્યો છે. તેમજ કોઠારિયામાં રૂ. ૨૪.૭૨ કરોડ રૂપિયાનાં ખર્ચે ૧૫ MLD ક્ષમતાનો સુએજ ટ્રીટમેન્ટ પ્લાન ઉપરાંત રૈયાધાર ખાતે રૂ. ૨૯.૭૩ કરોડના ખર્ચે વોટર ટ્રીટમેન્ટ પ્લાન સહિત ન્યારી ડેમથી રૂ. ૪૧.૭૧ કરોડના ખર્ચે પાણીની પાઇપલાઇન નાખવામાં આવી છે. આ તમામ મળી કુલ રૂ. ૨૩૪ કરોડનાં વિકાસકામોનું પણ વડાપ્રધાન મોદીનાં હસ્તે લોકાર્પણ કરવામાં આવનાર છે. આ લોકાર્પણ રેસકોર્સ ખાતેની જાહેરસભા દરમિયાન કરવામાં આવશે.
વાંચવાના શોખીન રાજકોટિયન્સ માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વોર્ડ નંબર ૬માં ગોવિંદબાગ પાસે ૧૫૯૬ ચોરસ મીટર વિશાળ જગ્યામાં ૩ માળની લાયબ્રેરીનું બાંધકામ કરવામાં આવ્યુ છે. આ લાયબ્રેરીમાં UPSC, GPSCની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે સ્ટુડન્ટ સ્ટડી કોર્નરની સુવિધા ઉપલબ્ધ છે. આ લાયબ્રેરીમાં ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષાના વિવિધ વિષયો જેવા કે સાહિત્ય ફિલોસોફી, ધર્મ, સામાજિક શાસ્ત્રો, વિવિધ ભાષાઓ, ટેક્નોલોજી, વિજ્ઞાન વગેરે તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાલક્ષી પુસ્તકો, દિવ્યાંગોના પુસ્તકો, સંદર્ભ ગ્રંથો મળીને ૩૩ હજાર જેટલા પુસ્તકો છે.
સાથે લાયબ્રેરીમાં ઓનલાઇન ડેટા એક્સેસ કેટલોગ, ઓનલાઈન ઈ-બુક, ઈ-જર્નલ વગેર સુવિધા છે. રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ માટે પણ અહીં વિશાળ સ્ત્રોતની સુવિધા ઊભી કરાઈ છે. બાળકોની કલ્પનાશક્તિ અને વિચારવાની ક્ષમતામાં વધારો થાય તે માટે વિવિધ બાળસાહિત્ય પણ ઉપલબ્ધ છે. આ ઉપરાંત, બાળકો માટે બોર્ડ, લર્નિંગ ગેમ્સ, વુડન તેમજ સોલ્યુશન વગેરે પઝલ, વિવિધ રમતો, મ્યુઝિકલ બેટરી ઓપરેટેડ રમકડાં વગેરે જેવા ૧૯૦૦થી વધુ પઝલ્સ અને રમકડાંઓનો ખજાનો પણ અહીં છે.
લાયબ્રેરીમાં મિનિ થિયેટર નિર્માણ પણ કરાયું છે. તો બાળફિલ્મ શો, ડોક્યુમેન્ટરી શો, વર્કશોપ, બુક રીવ્યૂ, બુક ટોક, ક્વિઝ કોમ્પિટિશન, સેમિનાર, કાઉન્સેલિંગ, કાવ્ય પઠન, ફિલ્મ રીવ્યૂ, પ્રસિદ્ધ ફિલ્મોના શો તેમજ વિવિધ સ્પર્ધાના આયોજન સાથે લોકોને મનોરંજનની સાથે-સાથે જ્ઞાન આ લાયબ્રેરીમાં પીરસવામાં આવશે. આ ઉપરાંત સરકારની અમૃત-૧ યોજના અંતર્ગત રૂ. ૨૦.૭૪ કરોડના ખર્ચે રાજકોટ મહાનગરપાલિકા પૂર્વ ઝોનના, વોર્ડ નં.૧૮ કોઠારિયા ખાતે, એનિમલ હોસ્ટેલની બાજુમાં ૧૩,૮૮૭ ચો.મી. જગ્યામાં ૧૫ મીલીયન લીટર પ્રતિ દિન ટ્રીટમેન્ટ ક્ષમતા સાથે, સિક્વેંસિયલ બેચ રીએક્ટર ટેકનોલોજી ધરાવતો SCADA સંચાલિત વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ તથા TSPS બનાવવામાં આવેલ છે.
આ પ્લાન્ટથી વોર્ડ નં.૧૮ અને વોર્ડ નં.૧૨ના કોઠારીયા તથા વાવડી વિસ્તારના ૨ લાખ જેટલા લોકોની ડ્રેનેજને લગતી સમસ્યાઓનું નિવારણ થવાની સાથે આજી નદીમાં ભળતા ૧૫ મિલિયન લીટર પ્રતિદિન ગંદા પાણીનું શુદ્ધિકરણ થશે. તેનું લોકાર્પણ પણ વડાપ્રધાન મોદીના હસ્તે કરવામાં આવનાર છે.