વડોદરાઃ શહેરના છેવાડે આવેલા પદમલા બ્રિજ પાસે રિક્ષા અને ટ્રક વચ્ચે દર્દનાક અકસ્માત સર્જાયો છે. જેમાં એક બાળક સહિત બે લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા, જ્યારે અન્ય પાંચ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા, જેમને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.
આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરાના નવાયાર્ડ વિસ્તારના રોશન પાર્કમાં રહેતા એક પઠાણ પરિવારના 7 સભ્યો રિક્ષામાં પદમલા પાસે આવેલી ખડિયાળી બાબાની દરગાહ ખાતે ગયા હતા. જ્યાંથી પરિવાર પ્રાર્થના કરીને ઘરે પરત ફરી રહ્યો હતો. દરમિયાન પદમલા બ્રિજ પાસે પુરપાટ તરફથી આવતી ટ્રકે પઠાણ પરિવારની રિક્ષાને પાછળથી ટક્કર મારી હતી.
અકસ્માતમાં રિક્ષાનું વ્હીલ પલટી ગયું હતું. જ્યારે રિક્ષામાં સવાર આદિબા પઠાણ (2 વર્ષ) અને બુલુ અલી અહેમદ પઠાણ (47)ના મોત થયા હતા. જ્યારે દાનિશ પઠાણ (12), સાયમા પઠાણ (14), સબરીન પઠાણ (20), તબશુમ્બનુ પઠાણ (26) અને નશીરાબેગમ પઠાણ (5) ગંભીર રીતે ઘાયલ થયા હતા અને તેમને સારવાર માટે શહેરની સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલ પોલીસે આ સમગ્ર મામલે ફરાર ટ્રક ચાલકને શોધવા માટે તપાસનો દોર શરૂ કર્યો છે.