વડોદરાઃ વડોદરાના હરાણી તળાવમાં ગુરુવારે સાંજે બોટ અકસ્માતમાં 2 શિક્ષકો સહિત 12 વિદ્યાર્થીઓના મોત થયા હતા. હવે સરકાર અને પોલીસે આ મામલે તપાસ તેજ કરી છે. બીજી તરફ ઘટના બાદ શહેરની બંને હોસ્પિટલમાં મૃતદેહો જોઈ બાળકોના વાલીઓ રડી પડ્યા હતા. અકસ્માતમાં માર્યા ગયેલા બાળકો અને શિક્ષકોના મૃતદેહના શુક્રવારે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા જેના કારણે સમગ્ર વડોદરામાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી.
ખાસ વાત એ છે કે આ ગંભીર ઘટના બાદ SITની રચના કરવામાં આવી છે. SITમાં કુલ 7 સભ્યો સામેલ છે. એડિશનલ પોલીસ કમિશનર મનોજ નિનામાના નેતૃત્વમાં SITની રચના કરવામાં આવી છે. જેમાં ઝોન 4ના ડીસીપી પન્ના મોમાયા, ક્રાઈમ ડીસીપી યુવરાજસિંહ જાડેજાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ક્રાઈમ બ્રાન્ચના એસીપી, પીઆઈ અને પીએસઆઈનો પણ એસઆઈટીમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
વકીલ મંડળે આરોપીનો કેસ નહીં લડવાની જાહેરાત કરી છે
હરણી તળાવમાં 14 લોકોના મોત બાદ વડોદરા બાર એસોસિએશને મહત્વનો નિર્ણય લીધો છે. અકસ્માતને જોતા બાર એસોસિએશને નિર્ણય લીધો છે કે વડોદરામાં એક પણ વકીલ આરોપીઓની તરફેણમાં કેસ નહીં લડે. બરોડા બાર એસોસિએશનના પ્રમુખ નલીન પટેલ દ્વારા એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. જેમાં કોઈ વકીલ આરોપીઓની તરફેણમાં કેસ નહીં લડે તેવી જાહેરાત કરવામાં આવી છે. જો કોઇ વકીલ આરોપીનો કેસ લડશે તો તેની સામે કાર્યવાહી કરવાની પણ ચીમકી આપવામાં આવી છે.
વડોદરાની ન્યુ સનરાઈઝ સ્કૂલના વિદ્યાર્થીઓને ગઈકાલે હરાણી તળાવના પ્રવાસે લઈ જવામાં આવ્યા હતા. જ્યાં બાળકોને બોટીંગમાં લઈ જવામાં આવ્યા હતા. ત્યારે બોટ પલટી જતાં 12 બાળકો અને 2 શિક્ષકોના ડૂબી જવાથી મોત થયા હતા. બોટમાં ક્ષમતા કરતા વધુ લોકો બેઠેલા હોવાને કારણે આ અકસ્માત થયો હતો. એટલું જ નહીં, બાળકોને લાઈફ જેકેટ પણ આપવામાં આવ્યા ન હતા.