ગાંધીનગરના દંતાલી ગામે સાંસદ શ્રી હસમુખભાઈ પટેલની ઉપસ્થિતિમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમનું આયોજન.
ગ્રામજનોએ ઢોલના નાદ અને ફૂલોની વર્ષા સાથે વિકસિત ભારતના રથની પ્રશંસા કરી હતી.
(GNS),તા.05
ગાંધીનગર,
વિકાસ ભારત સંકલ્પ યાત્રા છેલ્લા 15 દિવસથી રાજ્યના વિવિધ જિલ્લાઓમાં પરિભ્રમણ કરી રહી છે. આ અંતર્ગત ગાંધીનગર જિલ્લામાં 30 નવેમ્બરથી શરૂ થયેલી વિકાસ યાત્રા ગાંધીનગર તાલુકાના દંતાલી ગામે પહોંચી ત્યારે ગ્રામજનોએ ઢોલ-નગારા અને ફૂલોની વર્ષા સાથે વિકાસ ભારત રથનું ભવ્ય સ્વાગત કર્યું હતું. સાંસદ શ્રી હસમુખભાઈ પટેલ અને પ્રાંત અધિકારી શ્રી બ્રિજેશ મોડિયાની વિશેષ ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી.
આ પ્રસંગે સાંસદ શ્રી હસમુખ પટેલે પ્રાસંગિક સંબોધન કરતાં ગ્રામજનોને કુદરતી ખેતી પર વધુ ભાર મૂકવા જણાવ્યું હતું. તેમણે કહ્યું કે આવનારી પેઢીને સુંદર પ્રકૃતિ અને સારા સ્વાસ્થ્યની ભેટ આપવી હોય તો કુદરતી ખેતી જ એકમાત્ર રસ્તો છે. આ ઉપરાંત તેમણે ઉમેર્યું હતું કે, છેવાડાના લોકો દરેક યોજનાનો લાભ લેશે ત્યારે જ વિકસિત ભારતનું સ્વપ્ન સાકાર થશે.
આ કાર્યક્રમમાં સરકારની સિદ્ધિઓ અને સિદ્ધિઓને લગતી ટૂંકી ફિલ્મો અને યોજનાકીય બેનરો, પ્લૅમ્ફેટ્સ અને સાહિત્યનું વિતરણ કરીને લોકોને યોજનાઓનો મહત્તમ લાભ લેવા અનુરોધ કરાયો હતો. આ કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ મહાનુભાવો અને ગ્રામજનોએ વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં ભાગ લેવા અને વિકસિત ભારત-2047ના સ્વપ્નને સાકાર કરવા તેમની ભાગીદારી નોંધાવવાના સંકલ્પ સાથે શપથ લીધા હતા.
આ કાર્યક્રમમાં ગામના આયુષ્માન કાર્ડના લાભાર્થીઓ, પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓ, શૌચાલય યોજનાના લાભાર્થીઓએ લાભ લીધો હતો. ગામમાં હર ઘર પાણી મિશનની 100% કામગીરી કરવા બદલ અને દરેક ઘરમાં શૌચાલય બનાવવા બદલ સાંસદ હસમુખભાઈ પટેલ દ્વારા સરપંચશ્રીને અભિનંદન પત્ર અર્પણ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે શાળાની વિકાસ ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત યોજાયેલી ક્વિઝ સ્પર્ધાના વિજેતા વિદ્યાર્થીઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગામની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા બાળકો દ્વારા ‘ધરતી કરે પુકાર’ નાટક રજૂ કરવામાં આવ્યું હતું.
ગામમાં યાત્રાના આગમન નિમિત્તે સરકારના વિવિધ વિભાગો દ્વારા કાર્યક્રમ સ્થળે ઉભા કરાયેલા નિદર્શન સ્ટોલ દ્વારા નાગરિકોને વિવિધ કલ્યાણકારી યોજનાઓ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. આ સ્ટોલનું પણ ઉપસ્થિત મહાનુભાવો દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આરોગ્ય વિભાગ દ્વારા વિનામૂલ્યે આરોગ્ય તપાસ કરવામાં આવી હતી. યાત્રા દરમિયાન ખેડૂત મિત્રોને આધુનિક ખેતી પદ્ધતિ દ્વારા ઓછા ખર્ચે ગુણવત્તાયુક્ત પાક મેળવવા અંગે ટેકનિકલ માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું.