માછીમારોને આગામી 4 દિવસ દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે, ગુજરાતમાં અત્યાર સુધીમાં સિઝનનો 80 ટકા વરસાદ થયો છે.
અમદાવાદઃ
ગુજરાતમાં સારા વરસાદથી ખેડૂતો ખૂબ જ ખુશ છે. રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે હવામાન વિભાગે રાજ્યના અનેક શહેરોમાં વાદળછાયું વાતાવરણ રહેવાની આગાહી કરી છે. અને સમગ્ર રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.
હવામાન વિભાગની આગાહી મુજબ દરિયાકાંઠાના વિસ્તારોમાં પવન ફૂંકાશે. માછીમારોને આગામી 4 દિવસ સુધી દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. અમદાવાદ અને ગાંધીનગરમાં હળવા વરસાદની આગાહી છે. હવામાન વિભાગના નિયામક ડૉ. મનોરમા મોહંતીએ રાજ્યમાં પાંચ દિવસ સુધી વરસાદની આગાહી કરી છે. તેમણે કહ્યું છે કે ગુજરાતમાં કોઈ સક્રિય સિસ્ટમ નથી. જેના કારણે ગુજરાતમાં છૂટોછવાયો વરસાદ પડશે. રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. રાજ્યમાં મોટાભાગે હળવા વરસાદની સંભાવના છે. કેટલીક જગ્યાએ સામાન્ય વરસાદની અપેક્ષા છે.
દરિયાકાંઠે જોરદાર પવન ફૂંકાવાની શક્યતા છે. જેના કારણે હાલ માછીમારી પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. તેમણે એમ પણ જણાવ્યું કે રાજ્યમાં સપ્ટેમ્બર સુધી વરસાદી માહોલ જારી રહેશે. હાલ રાજ્યમાં એવી કોઈ સિસ્ટમ નથી કે જે પાંચ-સાત દિવસ સુધી વરસાદ વરસાવી શકે. દરમિયાન રાજ્યમાં છૂટોછવાયો વરસાદ ચાલુ રહેશે.
ગુજરાતમાં અત્યાર સુધીમાં સિઝનનો 80 ટકા વરસાદ થયો છે. જેમાં સિઝનનો સૌથી વધુ સરેરાશ વરસાદ કચ્છ ઝોનમાં 135.80 ટકા, સૌરાષ્ટ્રમાં 109.46 ટકા, ઉત્તર ગુજરાતમાં 66.85 ટકા, દક્ષિણ ગુજરાતમાં 70.50 ટકા, પૂર્વ-મધ્ય ગુજરાતમાં 63.47 ટકા નોંધાયો છે.