ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ વર્ષોથી ઈરાન યુદ્ધની યોજના બનાવી રહ્યા હતા. એક રિપોર્ટમાં આ અંગે મોટો ખુલાસો થયો છે. દાવા મુજબ, ઈરાન પર હુમલો કરવાના નેતન્યાહૂના લાંબા સમયથી ચાલી રહેલા પ્રસ્તાવને અમેરિકાના ત્રણ ભૂતપૂર્વ રાષ્ટ્રપતિઓએ ફગાવી દીધો હતો, પરંતુ ડોનાલ્ડ ટ્રમ્પે તેને મંજૂરી આપી દીધી હતી. આ દાવો અમેરિકાના પૂર્વ વિદેશ મંત્રી જોન કેરીએ કર્યો છે. તેણે કહ્યું છે કે ટ્રમ્પ પહેલા આ પ્લાન જ્યોર્જ ડબલ્યુ બુશ, બરાક ઓબામા અને જો બિડેનને પણ રજુ કરવામાં આવ્યો હતો, પરંતુ ત્રણેયે તેને ફગાવી દીધો હતો.
જ્હોન કેરીએ તાજેતરમાં ‘ધ લેટ શો વિથ સ્ટીફન કોલબર્ટ’ નામના ટીવી શોમાં આ દાવા કર્યા હતા. “ઓબામાએ નકારી કાઢ્યું, બુશે નકારી કાઢ્યું, પ્રમુખ બિડેને નકારી કાઢ્યું. હું પોતે પણ તે વાતચીતનો ભાગ રહ્યો છું,” તેમણે એક નિવેદનમાં જણાવ્યું હતું. તેમણે કહ્યું કે અગાઉના અમેરિકન પ્રશાસને આ યુદ્ધ માટે સંમતિ આપી ન હતી કારણ કે તેઓ અન્ય વિકલ્પો શોધી રહ્યા હતા.
કેરીનો મોટો દાવો
કેરીએ એમ પણ કહ્યું કે પ્રથમ ત્રણ અમેરિકન પ્રમુખોએ વિયેતનામ અને ઇરાક યુદ્ધના અનુભવોને ધ્યાનમાં રાખીને યુદ્ધ શરૂ ન કરવાનો નિર્ણય લીધો હતો. તેમણે કહ્યું, “વિયેતનામ યુદ્ધમાં અમારી સાથે જૂઠું બોલવામાં આવ્યું હતું. તે યુદ્ધ અને ઇરાકમાંથી બોધપાઠ એ છે કે લોકો સાથે જૂઠું બોલવું અને તેમના બાળકોને લડવા મોકલવા યોગ્ય નથી.”
જો કે ટ્રમ્પે યુદ્ધનો માર્ગ પસંદ કર્યો. કેરીએ જણાવ્યું હતું કે ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા 2015ના પરમાણુ કરાર (JCPOA)માંથી ખસી ગયા બાદ યુદ્ધ “લગભગ નિશ્ચિત” હતું. કેરીએ વર્તમાન યુદ્ધ વ્યૂહરચના પર સવાલ ઉઠાવતા કહ્યું કે તેનાથી ઈરાન સાથે ડીલ થવાની શક્યતાઓ નબળી પડી છે. તેમણે કહ્યું કે જ્યારે ઈરાન પર બોમ્બ નહીં પડે અને અન્ય કોઈ વિવાદાસ્પદ પગલાં લેવામાં નહીં આવે ત્યારે સ્થિતિ વધુ સારી રહેશે.

