(પ્રતિનિધિ) ગોધરા, પંચમહાલ જિલ્લામાં વિવિધ ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા અસામાજિક તત્વો સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. આ અંતર્ગત કાંકણપુર પોલીસ દ્વારા ખનિજ ચોરીના ગુનાઓમાં સંડોવાયેલા એક ઇસમને ગુજરાત પોલીસ અધિનિયમ હેઠળ તડીપાર કરવામાં આવ્યો છે.
મળતી માહિતી મુજબ પંચમહાલ ગોધરા રેન્જના પોલીસ મહાનિરીક્ષક આર.વી. અસારી તથા પોલીસ અધિક્ષક ડૉ. હરેશભાઈ દુધાતના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા તત્વો સામે પાસા અને તડીપાર જેવી કડક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી. તે અનુસંધાને ગોધરા વિભાગના ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક બ્રિન્દા જાડેજાના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
કાંકણપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એલ. કામોળ દ્વારા કાંકણપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા કબીરપુર ગામના રહેવાસી ખનિજ માફિયા રાજેશભાઈ ઉર્ફે રાજુભાઈ જોગાભાઈ ભરવાડ વિરુદ્ધ નોંધાયેલા ગુનાઓને આધારે કાર્યવાહી કરવામાં આવી હતી.
રાજેશભાઈ વિરુદ્ધ કાંકણપુર પોલીસ સ્ટેશનમાં અલગ અલગ કુલ ૬ ગુનાઓ તેમજ અન્ય પોલીસ સ્ટેશનોમાં ૨ ગુનાઓ નોંધાયેલા છે, જેમાં ખનિજ ચોરી સંબંધિત ગુનાઓનો પણ સમાવેશ થાય છે.
આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને કાંકણપુર પોલીસે ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ ની કલમ ૫૬(ખ) હેઠળ તડીપારની દરખાસ્ત તૈયાર કરી મોકલી હતી. જેના આધારે ગોધરા પ્રાંત કચેરીના નાયબ કલેક્ટર અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ એન.બી. મોદી દ્વારા આ મામલે આદેશ આપતા રાજેશભાઈ ઉર્ફે રાજુભાઈ ભરવાડને પંચમહાલ, મહીસાગર, દાહોદ, વડોદરા, ખેડા તથા છોટાઉદેપુર જિલ્લાની હદમાંથી બે વર્ષ માટે હદપાર કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.
આ આદેશના અનુસંધાને આરોપીને હાલ અમદાવાદ ખાતે મોકલી આપવામાં આવ્યો હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું છે.

