ઉનાળામાં ગુજરાતના નાગરિકોને પીવાનું અને સિંચાઈ માટેનું પાણી પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ કરાવવા રાજ્ય સરકારનું આગોતરું આયોજન
*ગત વર્ષની સરખામણીએ રાજ્યમાં ૪.૧૫ ટકા વધુ પાણીનો જથ્થો ઉપલબ્ધ*
*ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવરમાં ૭૪ ટકાથી વધુ પાણીનો સંગ્રહ*
ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને મળેલી કેબિનેટ બેઠકમાં ચર્ચાયેલા વિષયો અંગે માહિતી આપતા પ્રવક્તા મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે,ઉનાળાની સિઝનમાં રાજ્યના પ્રત્યેક નાગરિકને પીવાનું અને ખેડૂતોને સિંચાઈ માટેનું પૂરતું પાણી ઉપલબ્ધ થઈ શકે તે માટે મુખ્યમંત્રીશ્રીએ રાજ્યના જળાશયોમાં ઉપલબ્ધ પાણીના જથ્થાની માહિતી મેળવી હતી.
આ અંગે વિગતો આપતા મંત્રીશ્રીએ કહ્યું હતું કે,ગુજરાતમાં ચાલુ વર્ષે ચોમાસામાં સારા વરસાદના પરિણામે રાજ્યના મુખ્ય જળાશયોમાં હાલની સ્થિતિએ કુલ ૬.૪૬ લાખMCFTએટલે કે,૭૨ ટકાથી વધુ પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે પાણીનો જથ્થો ૪.૧૫ ટકા વધારે એટલે કે પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે.
ગુજરાત જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં જ હાલની સ્થિતિએ ૭૪ ટકાથી વધુ એટલે કે ૨.૪૭ લાખMCFTપાણીનો જથ્થો સંગ્રહાયેલો છે. રાજ્યમાં સૌથી વધુ દક્ષિણ ગુજરાતમાં ૨.૩૪ લાખથી વધુMCFTપાણીનો જથ્થો જળાશયોમાં ઉપલબ્ધ છે. આ સિવાય મધ્ય ગુજરાતમાં ૬૫,૧૭૯MCFT,ઉત્તર ગુજરાતમાં ૪૧,૮૪૨MCFT,સૌરાષ્ટ્રમાં ૫૩,૬૨૧ અને કચ્છ વિસ્તારમાં ૪,૩૯૨MCFTપાણીનો જથ્થો સંગ્રહાયેલ છે,તેમ તેમણે ઉમેર્યું હતું.

