તળાવનાં પાણીમાં ઓક્સિજનનુ પ્રમાણ વધશે અને માછલી, કાચબા સહિતના જળચર જીવતા રહી શકશે તેમજ લીલ અને જળકુંભી જેવી બિનજરૂરી વનસ્પતિ ઉપર અંકુશ આવશે.
(પ્રતિનિધિ) અમદાવાદ, શહેરનાં વિવિધ વિસ્તારોમાં આવેલાં ૧૪૫ જેટલાં નાના મોટા તળાવોને ઇન્ટરલીંક કરીને તેમજ મીની એસટીપી મુકીને બારેમાસ પાણીથી ભરવાનાં આયોજનનાં ભાગરૂપે તળાવોમાં ભરાયેલાં પાણીની ગુણવત્તા સુધારવા તેમજ લીલ-જળકુંભી જેવી બિનજરૂરી વનસ્પતિ ઉત્પન્ન થાય નહિ તે માટે નેનો બબલ ટેકનોલોજી સહિત ત્રણેક પ્રકારની ટેકનોલોજીનાં ઉપયોગનાં પાયલોટ પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી છે. મ્યુનિ.નાં નેશનલ રિવર કન્ઝર્વેશન પ્રોજેક્ટ (એનઆરસીપી) દ્વારા આ પ્રકારની દરખાસ્ત રજૂ કરવામાં આવી છે.
શહેરના સાત ઝોનમાં હાલનાં તબક્કે ૪૧ તળાવોને નાગરિકોને હરવા-ફરવાનાં સ્થળ તરીકે ડેવલપ કરી દેવાયાં છે. અન્ય ૧૭ તળાવને ડેવલપ કરવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે, તેમજ અન્ય ૧૯ તળાવનાં ડેવલપમેન્ટનુ આયોજન હાથ ધરાયુ છે.શહેરનાં વિવિધ વિસ્તારોમાં આવેલાં તળાવોમાં આમ તો ચોમાસા દરમિયાન વરસાદી પાણીનો સંગ્રહ થાય તે માટે સ્ટોર્મ વોટર લાઇન નાખવામાં આવેલી છે, પરંતુ અમદાવાદનાં મોટાભાગનાં તળાવોમાં વરસાદી પાણી બારેમાસ જળવાઇ રહેતુ નથી અને ચોમાસુ પૂરૂ થયાનાં એકાદ મહિનામાં તળાવોનાં તળીયા દેખાઇ જાય છે.
તેથી શહેરી તળાવો બારેમાસ પાણીથી ભરેલાં રહે તો પર્યાવરણને ફાયદો થાય તેમજ આસપાસનાં વિસ્તારનાં ભૂગર્ભ જળસ્તર ઉંચા આવે તેવા હેતુથી મીની એસટીપી લગાવવાનાં પ્રોજેક્ટ અમલમાં મુકાયા છે. તદઉપરાંત તળાવો ચોમાસા દરમિયાન ઓવરફ્લો થાય તેવા સંજોગોમાં બીજા તળાવોમાં તેનુ પાણી વહી જાય તેવી ઇન્ટરલીંક લાઇનો પણ નાખવામાં આવી છે. જેનો ઉપયોગ મીની એસટીપીવાળા તળાવમાંથી વધારાનુ પાણી નજીકનાં તળાવમાં મોકલવા માટે પણ કરાશે.
તળાવ કિનારે મીની એસટીપી લગાવીને રહેણાંક વિસ્તારનાં ગટરનાં પાણી ટ્રીટ કરી તળાવમાં ઠાલવવામાં આવશે, આ પાણીની ગુણવત્તા ગટરનાં સીધા ઠલવાતા ગંદા પાણી કરતાં ઘણી સારી હશે, તેમ છતાં તળાવોમાં ગટરનાં ટ્રીટ થયેલાં પાણીને વધુ ગુણવત્તાયુક્ત બનાવવા માટે એનઆરસીપી અંતર્ગત નવીનતમ ટેકનોલોજીનો ઉપયોગ કરવાનુ નક્કી કરવામાં આવ્યુ છે.
આ પ્રોજેક્ટ અંતર્ગત પ્રથમ તબક્કે દ.પશ્ચિમ ઝોનનાં બે તળાવ, પશ્ચિમ ઝોનનાં બે તળાવ અને પૂર્વનાં એક તળાવનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ પાંચ તળાવ ખાતે ટ્રીટ થયેલાં પાણીમાં ડિઝોલ્વ્ડ ઓક્સિજન(ડીઓ)નાં પ્રમાણમાં વધારો થાય અને બાયોલોજીકલ ઓક્સિજન ડિમાન્ડ(બીઓડી) તથા કેમિકલ ઓક્સિજન ડિમાન્ડ(સીઓડી)નુ પ્રમાણ ઘટે તે માટે નેનો બબલ જનરેટર, સરફેસ એરેટર,
ડીપ એરેટર તેમજ અલ્ટ્રાસાઉન્ડ જનરેટર એમ ત્રણ પ્રકારની ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. જેનાથી તળાવનાં પાણીમાં ઓક્સિજનનુ પ્રમાણ વધશે અને માછલી, કાચબા સહિતના જળચર જીવતા રહી શકશે તેમજ લીલ અને જળકુંભી જેવી બિનજરૂરી વનસ્પતિ ઉપર અંકુશ આવશે.

