નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા તત્વો સામે ગુજરાત સરકારની લાલ આંખ
રાજ્યભરમાં “ખોરાક શુદ્ધિ અભિયાન” હેઠળ ભેળશેળિયા તત્વો સામે કરાઈ કડક કાર્યવાહી: આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયા
Øએપ્રિલ માસમાં ૪,૧૯૩થી વધુ એકમોની તપાસ;રૂ.૧.૮૩ લાખનું મૂલ્ય ધરાવતા ૧,૦૧૮ કિગ્રા શંકાસ્પદ પનીરનો સ્થળ પર જ નાશ
Øગંભીર ઉલ્લંઘન કરનાર ૧૮ બેદરકાર એકમોને સીલ કરાયા
Øમહાનગરપાલિકાઓમાં નિયમોના ઉલ્લંઘન બદલ રૂ.૨.૮૪ લાખથી વધુનો દંડ વસૂલાયો
Øઆરોગ્ય મંત્રીશ્રીએ ખોરાક અને ઔષધ નિયમન તંત્ર સાથે બેઠક યોજી ડ્રાઇવને વધુ વેગવાન બનાવવા સૂચના આપી
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકાર નાગરિકોના સ્વાસ્થ્ય સાથે કોઈપણ પ્રકારનું સમાધાન ન કરવાની નીતિ પર હંમેશથી મક્કમ છે. આ અંતર્ગત આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનસેરિયાએ આજે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજી,રાજ્યમાં ચાલી રહેલી સ્પેશિયલ ડ્રાઇવની સમીક્ષા કરી હતી અને આ સ્પેશિયલ ડ્રાઇવને હજુ વધુ તીવ્ર બનાવવાના આદેશ આપ્યા હતા.
આરોગ્ય મંત્રીશ્રીએ સ્પષ્ટ કર્યું હતું કે,ગુજરાત સરકાર નાગરિકોના આરોગ્યની સુરક્ષા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે અને ભેળશેળ કરતા તત્વો સામે ‘શૂન્ય સહનશીલતા’ની નીતિ અપનાવવામાં આવી છે. રાજ્યમાં “ખોરાક શુદ્ધિ અભિયાન” હજુ પણ વધુ વેગવાન બનશે.
ભેળશેળિયા તત્વોને કડક ચેતવણી આપતા મંત્રી શ્રી પ્રફુલભાઈએ કહ્યું હતું કે,જે કોઈ પણ લોકો એનાલોગ પ્રોડક્ટને પનીર તરીકે વેચીને નાગરિકો સાથે છેતરપિંડી કરશે,તેમને કોઈ પણ સંજોગોમાં છોડવામાં આવશે નહીં. ફૂડ બિઝનેસ ઓપરેટરો તાકીદે નિયમોનું પાલન શરૂ કરે,અન્યથા સરકાર તેમના વિરુદ્ધ કડક કાયદાકીય કાર્યવાહી કરતા જરા પણ અચકાશે નહીં.
એપ્રિલ માસ દરમિયાન અભિયાન હેઠળ થયેલી કામગીરીની વિગતો આપતાં મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે,રાજ્યમાં પનીરના નામે એનાલોગ ડેરી ઉત્પાદનો વેચીને થતી છેતરપિંડી રોકવા માટે હાથ ધરાયેલી આ ડ્રાઇવ હેઠળ મેન્યુફેક્ચરિંગ યુનિટ,રેસ્ટોરન્ટ,ઢાબા અને હોકર્સ સહિત કુલ ૪,૧૯૩ જેટલા એકમોની તપાસ કરવામાં આવી હતી.
આ તપાસ દરમિયાન અંદાજિત રૂ. ૧,૮૩,૨૪૦ મૂલ્ય ધરાવતો આશરે ૧,૦૧૮ કિગ્રા શંકાસ્પદ પનીર/એનાલોગનો જથ્થો મળી આવતા તેને જપ્ત કરી,સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. જેમાં,ગંભીર બેદરકારી બદલ ૨૭૦ જેટલી એકમોને તંત્ર દ્વારા નોટિસ પાઠવવામાં આવી છે. આ ઉપરાંત ૧૧૮ જેટલા શંકાસ્પદ નમૂના લેબોરેટરીમાં ચકાસણી અર્થે મોકલાયા છે,જેના પરિણામ આવ્યા બાદ કાયદેસરની કડક કાર્યવાહી કરાશે.

