આયુષ્માન ભારત યોજના હેઠળ સાત વર્ષમાં 75,617 લાભાર્થીઓએ લીધી સેવા
(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને એન.એચ.એલ. મેડિકલ કોલેજ સંચાલિત એસવીપી હોસ્પિટલમાં વર્ષ 2019થી લઈને વર્ષ 2025 દરમિયાન દર્દીઓની સારવાર તેમજ વિવિધ તબીબી સેવાઓમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે.
હોસ્પિટલના સ્થાપના વર્ષ 2019ની તુલનામાં વર્ષ 2024 અને વર્ષ 2025 દરમિયાન OPD, IPD તેમજ સર્જરી સેવાઓમાં સતત વૃદ્ધિ જોવા મળી છે, જે શહેરના નાગરિકોમાં હોસ્પિટલ પ્રત્યે વધતા વિશ્વાસને દર્શાવે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં હોસ્પિટલમાં આધુનિક તબીબી સુવિધાઓ, વિશેષજ્ઞ ડોક્ટરો તથા વિસ્તૃત સારવાર સેવાઓ ઉપલબ્ધ થતાં દર્દીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે.
OPD (Out-Patients) સેવાઓની વાત કરીએ તો વર્ષ 2019થી 2025 દરમિયાનના સાત વર્ષના સમયગાળામાં 14,53,638 દર્દીઓએ OPD સેવાઓનો લાભ લીધો હતો. જે અંતર્ગત સ્થાપના વર્ષ 2019માં કુલ 1,27,764 દર્દીઓએ OPD સેવાઓનો લાભ લીધો હતો. વર્ષ 2020માં આ સંખ્યા 65,466 અને વર્ષ 2021માં 99,533 રહી હતી.
ત્યારબાદ વર્ષ 2022માં OPD દર્દીઓની સંખ્યા વધીને 1,82,087 થઈ હતી, જ્યારે વર્ષ 2023માં તે 2,70,673 સુધી પહોંચી હતી. વર્ષ 2024માં આ આંકડો વધીને 3,06,246 થયો હતો અને વર્ષ 2025માં વધુ વધારો નોંધાઈ 4,01,869 દર્દીઓ સુધી પહોંચ્યો છે. આ રીતે વર્ષ 2019ની તુલનામાં વર્ષ 2025માં OPD દર્દીઓની સંખ્યામાં લગભગ ત્રણ ગણો વધારો નોંધાયો છે.
IPD (Admissions) સેવાઓ અંતર્ગત વર્ષ 2019માં હોસ્પિટલમાં કુલ 14,167 દર્દીઓ દાખલ થયા હતા. વર્ષ 2020માં 18,764 દર્દીઓ દાખલ થયા હતા, જ્યારે વર્ષ 2021માં 11,451 દર્દીઓ દાખલ થયા હતા. વર્ષ 2022માં દાખલ દર્દીઓની સંખ્યા 12,507 રહી હતી અને વર્ષ 2023માં તે વધીને 22,044 થઈ હતી. વર્ષ 2024માં 27,888 દર્દીઓ દાખલ થયા હતા અને વર્ષ 2025માં આ સંખ્યા વધીને 31,332 સુધી પહોંચી ગઈ છે. આથી સ્થાપના વર્ષ 2019ની તુલનામાં વર્ષ 2025માં દાખલ દર્દીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો નોંધાયો છે.
સર્જરી સેવાઓની વાત કરીએ તો વર્ષ 2019માં કુલ 4,082 સર્જરી કરવામાં આવી હતી. વર્ષ 2020માં 2,168 સર્જરી તથા વર્ષ 2021માં 1,428 સર્જરી કરવામાં આવી હતી. વર્ષ 2022માં સર્જરીની સંખ્યા વધીને 3,584 થઈ હતી અને વર્ષ 2023માં 6,893 સર્જરી કરવામાં આવી હતી. વર્ષ 2024માં આ સંખ્યા વધીને 8,153 થઈ હતી અને વર્ષ 2025માં 8,999 સર્જરી સુધી પહોંચી છે. આથી સ્પષ્ટ થાય છે કે છેલ્લા કેટલાંક વર્ષોમાં સર્જિકલ સેવાઓમાં મહત્વપૂર્ણ વૃદ્ધિ નોંધાઈ છે.
હોસ્પિટલમાં લેબોરેટરી અને રેડિયોલોજી સેવાઓમાં પણ સતત વધારો નોંધાયો છે. જેમાં લેબોરેટરી સેવાઓ અંતર્ગત વર્ષ 2019માં 1,65,874 તપાસો કરવામાં આવી હતી. વર્ષ 2020માં આ સંખ્યા વધીને 6,97,089 થઈ હતી અને વર્ષ 2021માં 5,97,587 રહી હતી. ત્યારબાદ વર્ષ 2022માં 2,84,125 તથા વર્ષ 2023માં 2,71,894 તપાસો કરવામાં આવી હતી. ત્યારબાદ વર્ષ 2024માં લેબોરેટરી સેવાઓનો આંકડો વધીને 5,64,080 થયો હતો
અને વર્ષ 2025માં 7,64,135 તપાસો સુધી પહોંચી ગયો છે. રેડિયોલોજી સેવાઓમાં વર્ષ 2019માં 68,418 તપાસો કરવામાં આવી હતી, જ્યારે વર્ષ 2020માં 81,509 અને વર્ષ 2021માં 78,107 તપાસો નોંધાઈ હતી. વર્ષ 2022માં 84,829 તપાસો કરવામાં આવી હતી, જ્યારે વર્ષ 2023માં આ સંખ્યા વધીને 1,15,893 થઈ હતી. વર્ષ 2024માં 1,58,961 તપાસો કરવામાં આવી હતી અને વર્ષ 2025માં આ આંકડો વધીને 2,28,092 સુધી પહોંચ્યો છે.
આયુષ્માન ભારત યોજના હેઠળના લાભાર્થીઓની વાત કરીએ તો 2019થી 2025નાં સાત વર્ષના સમયગાળા દરમિયાન 75,617 જટેલા લાભાર્થીઓએ આ સેવાનો લાભ લીધો હતો. જે અંતર્ગત વર્ષ 2019માં 7,999 લાભાર્થીઓને સારવાર આપવામાં આવી હતી. વર્ષ 2020માં 3,453 લાભાર્થીઓને લાભ મળ્યો હતો, જ્યારે વર્ષ 2021 દરમિયાન COVID પરિસ્થિતિને કારણે આ આંકડો નોંધાયો નહોતો. વર્ષ 2022માં 4,534 લાભાર્થીઓને સારવાર આપવામાં આવી હતી.
ત્યારબાદ વર્ષ 2023માં આ સંખ્યા નોંધપાત્ર રીતે વધીને 15,148 થઈ હતી. વર્ષ 2024માં 20,506 લાભાર્થીઓને લાભ મળ્યો હતો અને વર્ષ 2025માં આ સંખ્યા વધીને 23,977 સુધી પહોંચી ગઈ છે. આ આંકડાઓ દ્વારા આયુષ્માન ભારત યોજના હેઠળ એક જ મલ્ટી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં નોંધાયેલ આ અત્યાર સુધીનો સૌથી વધુ આંકડો છે, જે અમદાવાદ શહેરમાં પ્રથમ ક્રમાંક પર છે.

