નવી દિલ્હી: ભારતીય શિક્ષણ પ્રણાલીમાં ડ્રોપ-આઉટ રેશિયો ઘટાડવા અને વિદ્યાર્થીઓને અભ્યાસમાં ટકાવી રાખવા માટે કેન્દ્ર સરકાર એક અત્યંત મહત્વકાંક્ષી પ્રોજેક્ટ લોન્ચ કરવા જઈ રહી છે. શૈક્ષણિક વર્ષ ૨૦૨૬-૨૭ થી દેશની તમામ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં સામાન્ય શિક્ષણની સાથે જ ‘ઓપન એજ્યુકેશન સેન્ટર્સ’ કાર્યરત થશે.
આ નવી પહેલની સૌથી મોટી વિશેષતા એ છે કે નિયમિત શાળા અને ઓપન લર્નિંગ બંને એક જ કેમ્પસમાં ચાલશે. જો કોઈ વિદ્યાર્થી નિયમિત શિક્ષણમાં નિષ્ફળ જાય છે, તો તેને શાળા છોડવાને બદલે તાત્કાલિક ઓપન લર્નિંગમાં પ્રવેશ આપી પ્રોત્સાહિત કરવામાં આવશે.
ભારતમાં ખાસ કરીને ધોરણ ૫, ૮ અને ૧૦ પછી અભ્યાસ છોડી દેનારા વિદ્યાર્થીઓની સંખ્યા મોટી છે. અત્યાર સુધીની સિસ્ટમમાં બે વાર નાપાસ થનારને શાળામાંથી દૂર કરવાની પ્રથા હતી, પરંતુ હવે સરકાર તેમને પંચાયત સ્તરના કેન્દ્રો દ્વારા ગ્રેજ્યુએશન સુધી પહોંચાડવાનું લક્ષ્ય રાખે છે.

