નાનખટાઈ ખાવાના કારણે ઉલટીઓ થઈ, AMC ફૂડ વિભાગમાં ફરિયાદ
(પ્રતિનિધિ) અમદાવાદ, શહેરમાં દિન પ્રતિદિન ખાણીપીણીની ચીજ વસ્તુઓમાંથી જીવાત કે અન્ય ચીજ વસ્તુઓ નીકળવાની ઘટના બનતી હોય છે ત્યારે શહેરના નવરંગપુરા વિસ્તારમાં શ્રીજી રોડ ઉપર આવેલી BEEKEY BEKARS નામની બેકરીમાંથી ખરીદી કરવામાં આવેલી નાનખટાઈમાંથી જીવાત નીકળવાની ઘટના બની હતી. છૂટક ખરીદેલી નાનખટાઈમાંથી જીવાતો નીકળી હતી.
ગ્રાહકના મિત્રએ નાનખટાઈ ખાઈ લીધી હતી જે નાનખટાઈ ખાવાના કારણે તેમને ઉલટીઓ પણ થઈ હતી. ખરીદી કરવામાં આવેલી તમામ નાનખટાઈ ફેંકી દેવી પડી હતી. ગ્રાહક દ્વારા ફૂડ વિભાગ અને મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગમાં ઇ મેલ મારફતે ફરિયાદ કરવામાં આવી છે.
ગાંધીનગર વિસ્તારમાં રહેતા મૌલિક પ્રજાપતિએ જણાવ્યું હતું કે બે દિવસ પહેલા શહેરના નવરંગપુરા વિસ્તારમાં આવેલા રોડ પરની BEEKEY BEKARS નામની બેકરીમાંથી નાનખટાઈ, ટોસ્ટ અને નટ બિસ્કીટ ખરીદ્યા હતા. તમામ ચીજ વસ્તુઓ ઘરે લાવ્યા હતા. જેમાં નાનખટાઈ છૂટક હતી જેને પેકિંગ કરીને બેકરી તરફથી આપવામાં આવેલી હતી જ્યારે ઘરે લાવી અને અમે ખોલીને જોયું ત્યારે નાનખટાઈમાં જીવાત નીકળી હતી.
કેટલીક જીવિત અને કેટલીક મરેલી હાલતમાં જીવાતો નીકળી હતી જેથી તેનો ફોટો અને વિડીયો લીધો હતો. ખરીદવામાં આવેલી ચીજ વસ્તુઓ માંથી જીવાત નીકળી હતી તેના પગલે તેને બીજા દિવસે અમે ફેંકી દીધી હતી.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે નાનખટાઈમાંથી જીવાત નીકળી હતી. જે તેમની નાની દીકરીએ જોઈ હતી અને થોડી ખાઈ પણ દીધી હતી જ્યારે તેમના મિત્ર તેમણે પણ આ જ નાનખટાઈ ખરીદી હતી તે ત્રણ નાનખટાઈ ખાઈ ગયા હતા જેના કારણે તેમને ઉલટીઓ પણ થઈ હતી
જેથી તાત્કાલિક ધોરણે તેમણે તમામ નાનખટાઈ નાખી પણ દીધી હતી. તેમણે ફૂડ વિભાગ અને મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગની હેલ્પલાઇનમાં જે ઇમેલ આઇડી આવેલો છે તેમાં અમે ફરિયાદ કરી દીધી છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગમાં ફરિયાદ કરવામાં આવી છે

