વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ‘મન કી બાત‘ના ૧૩૨મા કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ‘મન કી બાત‘ કાર્યક્રમના ૧૩૨ સંસ્કરણમાં ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લાની પાયલ મુંજપરાની પ્રેરણાદાયી સફળતાનો ઉલ્લેખ કર્યો છે. તેમણે કહ્યું કે પાયલે ‘પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના‘ હેઠળ ‘સૂર્ય પહેલ‘ દ્વારા સોલર પાવર ટેકનોલોજીની તાલીમ લીધી અને ૪ મહિનાનો Solar PV Technician કોર્સ પૂર્ણ કર્યો.
આજે પાયલ માત્ર એક કુશળ સોલર ટેકનિશિયન જ નહીં, પરંતુ એક સફળ સોલર ઉદ્યોગસાહસિક (Entrepreneur) તરીકે પોતાની ઓળખ બનાવી રહી છે. પાયલની આ સફર દર્શાવે છે કે કેવી રીતે આ સરકારી યોજનાઓ જયપુર, મેરઠ તેમજ ઉત્તર-પૂર્વ સહિત દેશના છેવાડાના વિસ્તારોમાં યુવાનોના જીવનમાં મોટું પરિવર્તન લાવી રહી છે અને તેમને સ્વનિર્ભર બનાવી રહી છે.
વડાપ્રધાનશ્રીએ જળસંચયને અભિયાન બનાવીને ભાવિ પેઢી માટે પાણીદાર ભવિષ્યનું નિર્માણ કરવા દેશવાસીઓને અનુરોધ કર્યો
મેદસ્વિતા મુક્ત અને તંદુરસ્ત ભારતના નિર્માણ માટે ભોજનમાં તેલનો વપરાશ ૧૦ ટકા સુધી ઘટાડવા પર ભાર મૂકતા વડાપ્રધાનશ્રી
ગુજરાતમાં ૨૪ કલાક વીજળી અને નર્મદાના નીર છેક કચ્છ સુધી પહોંચાડી પાયાની સુવિધાઓનો કાયાકલ્પ કર્યો –સેમિકન્ડક્ટર ક્ષેત્રે ‘આત્મનિર્ભર ભારત‘નું સપનું સાકાર: સાણંદમાં ‘માઈક્રોન’નો પ્લાન્ટ નિર્ણાયક નીતિઓનું પરિણામઃ CM

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના મેમનગર વિસ્તારમાં આવેલી એચ.બી. કાપડિયા સ્કૂલ ખાતેથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ‘મન કી બાત‘ના ૧૩૨મા સંસ્કરણનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જન-જન સુધી પહોંચવા તા. ૩ ઓક્ટોબર, ૨૦૧૪ના રોજ વિજયાદશમીના દિવસે ‘મન કી બાત‘ કાર્યક્રમ શરૂ કર્યો હતો. જેના દ્વારા તેઓ નાગરિકો સાથે સંવાદ પણ સાધતા હોય છે. આજે વડાપ્રધાનશ્રીએ ‘મન કી બાત‘ના ૧૩૨મા સંસ્કરણમાં દેશવાસીઓને સંબોધિત કર્યા હતા.
આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વહીવટી વડા તરીકે નવો સીમાસ્તંભ હાંસલ કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. તેમણે જણાવ્યું કે આજે જ્યારે સમગ્ર વિશ્વ આર્થિક અને સામાજિક રીતે ડામાડોળ પરિસ્થિતિનો સામનો કરી રહ્યું છે, ત્યારે વડાપ્રધાનશ્રીના મક્કમ નેતૃત્વને કારણે ભારતનો પ્રત્યેક નાગરિક તણાવમુક્ત અને સુરક્ષિત અનુભવે છે. જનતાનો વડાપ્રધાનશ્રી પરનો આ અતૂટ વિશ્વાસ જ ભારતની અસલી શક્તિ છે.

