મુખ્યમંત્રીએ સંબોધનમાં સ્વ. ગોવિંદભાઈ પરમારના કાર્યોને યાદ કરી, તેમના પુત્ર હર્ષદ પરમારને જંગી બહુમતીથી જીતાડવા હાકલ કરી
ઉમરેઠ, ગુજરાતમાં વિધાનસભાની ઉમરેઠ બેઠક પર પેટાચૂંટણીનો રણસંગ્રામ તેજ બન્યો છે. આણંદ જિલ્લાની હાઈપ્રોફાઈલ ગણાતી ઉમરેઠ બેઠક પર ભાજપના ઉમેદવાર હર્ષદ પરમારના સમર્થનમાં આજે એક ભવ્ય જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ સભામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ખાસ ઉપસ્થિતિએ કાર્યકરોમાં નવું જોમ પૂર્યું છે. ઉમેદવારી પત્ર ભરતા પહેલા યોજાયેલી આ સભામાં હજારોની મેદની ઉમટી પડી હતી.
મુખ્યમંત્રી સભાસ્થળે પહોંચતા જ કાર્યકરોએ ગગનભેદી સૂત્રોચ્ચાર સાથે તેમનું સ્વાગત કર્યું હતું. રજની નગર સોસાયટી પાસે યોજાયેલી આ સભામાં કેસરીયો માહોલ છવાઈ ગયો હતો. મુખ્યમંત્રીએ પોતાના સંબોધનમાં સ્વ. ગોવિંદભાઈ પરમારના કાર્યોને યાદ કરી, તેમના પુત્ર હર્ષદ પરમારને જંગી બહુમતીથી જીતાડવા હાકલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, ભાજપ વિકાસના મુદ્દે ચૂંટણી લડી રહ્યું છે, અને જનતા ફરી એકવાર કમળ ખીલવશે.
ઉમરેઠ વિધાનસભાની પેટાચૂંટણીના જંગમાં ભાજપના ઉમેદવાર હર્ષદ પરમારની ઉમેદવારી પૂર્વે આયોજિત સભામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હાજરી આપી હતી. સ્વ. ગોવિંદભાઈ પરમારને શ્રદ્ધાંજલિ અર્પતા મુખ્યમંત્રીએ જણાવ્યું કે, ગોવિંદભાઈએ આપણી વચ્ચેથી અણધારી વિદાય લીધી છે, તેઓ દરેક સાથે આત્મીયતાથી જોડાયેલા હતા અને ગુજરાત તેમને હંમેશા યાદ રાખશે.
ભાજપે હવે તેમના પુત્ર હર્ષદ પરમાર પર વિશ્વાસ મૂકી જવાબદારી સોંપી છે. CMએ વધુમાં ઉમેર્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં જનતાનો ભાજપ પ્રત્યે વિશ્વાસ સતત વધ્યો છે. તેમણે કાર્યકરો અને મતદારોને મતદાનના દિવસે ઉત્સાહભેર બહાર નીકળી, ભાજપના ઉમેદવારને રેકોર્ડબ્રેક મતોથી વિજયી બનાવવા આહવાન કર્યું હતું.

