ઈરાને તાજેતરના યુદ્ધવિરામ પ્રસ્તાવને ફગાવી દીધો છે અને કહ્યું છે કે તે કાયમી નહિ પણ અસ્થાયી, યુદ્ધનો અંત ઈચ્છે છે. આ જાણકારી ઈરાનની સરકારી સમાચાર એજન્સી IRNAએ આપી છે. ઈરાન તરફથી આ સમાચાર અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા તેહરાનને હોર્મુઝ સાગર ખોલવા માટે આપેલા અલ્ટીમેટમ પહેલા આવ્યા છે. ટ્રમ્પે ઈરાનને ચેતવણી આપી છે કે તે નિર્ધારિત સમયમર્યાદામાં કાં તો હોર્મુઝની સામુદ્રધુની ખોલે અથવા પાવર પ્લાન્ટ અને પુલો પર હુમલાનો સામનો કરવા તૈયાર રહે.
ઈરાની સમાચાર એજન્સીના અહેવાલ મુજબ ઈરાને પાકિસ્તાન દ્વારા મોકલવામાં આવેલા પ્રસ્તાવને ફગાવી દીધો છે અને તેનો જવાબ પાકિસ્તાન દ્વારા જ અમેરિકાને મોકલ્યો છે. કૈરોમાં ઈરાનના રાજદ્વારી મિશનના વડા મોજતબા ફરદૌસી પોરે સોમવારે એસોસિએટેડ પ્રેસને જણાવ્યું હતું કે, “અમે માત્ર યુદ્ધવિરામ સ્વીકારીશું નહીં. અમે યુદ્ધનો અંત ત્યારે જ સ્વીકારીશું જો અમને ખાતરી આપવામાં આવે કે અમારા પર ફરીથી હુમલો કરવામાં આવશે નહીં.”
ટ્રમ્પે પણ યુદ્ધવિરામ પ્રસ્તાવ પર હસ્તાક્ષર કર્યા નથી
ફરદોસી પોરે જણાવ્યું હતું કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પર ઈરાની અને ઓમાની અધિકારીઓ આ મહત્વપૂર્ણ શિપિંગ માર્ગને સંચાલિત કરવા માટે એક પદ્ધતિ વિકસાવવા માટે કામ કરી રહ્યા છે. બીજી તરફ અમેરિકાએ પણ કહ્યું છે કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હજુ સુધી કોઈપણ યુદ્ધવિરામ કરારના ડ્રાફ્ટને મંજૂરી આપી નથી. એટલે કે પાકિસ્તાનના યુદ્ધવિરામ પ્રસ્તાવને બંને પક્ષોએ ફગાવી દીધો છે. આ દરખાસ્તને યુદ્ધને રોકવાના છેલ્લા પ્રયાસ તરીકે જોવામાં આવી રહી હતી પરંતુ ટ્રમ્પે તેને મંજૂરી આપી ન હતી. આ પ્રસ્તાવ હેઠળ 45 દિવસના યુદ્ધવિરામ દરમિયાન હોર્મુઝ સમુદ્રી માર્ગને ફરીથી ખોલવાની માંગ કરવામાં આવી છે.

