ધમકીઓનો સિલસિલો ચિંતાનો વિષય
(એજન્સી)અમદાવાદ, રાજ્યમાં મહત્ત્વની સરકારી સંસ્થાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળવાનો સિલસિલો યથાવત્ રહ્યો છે. છઠ્ઠી એપ્રિલ વહેલી સવારે અમદાવાદ, રાજકોટ, વડોદરા અને સુરતની આરટીઓ કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની અજ્ઞાત ધમકી મળતા તંત્ર અને પોલીસ દોડતું થયું હતું.
ધમકીભર્યા સંદેશાને પગલે સુરક્ષાના ભાગરૂપે તાત્કાલિક અસરથી આખી કચેરી ખાલી કરાવી દેવામાં આવી હતી, જેના કારણે અરજદારોમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
ધમકીની જાણ થતાં જ અમદાવાદ આરટીઓ સત્તાધીશોએ રાણીપ પોલીસનો સંપર્ક કર્યો હતો. ગણતરીની મિનિટોમાં જ પોલીસનો ઉચ્ચ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. સંભવિત જોખમને ટાળવા માટે તાત્કાલિક ધોરણે કચેરીમાં કામ કરતા કર્મચારીઓ અને વિવિધ કામકાજ અર્થે આવેલા અરજદારોને બહાર કાઢવામાં આવ્યા હતા. ડ્રાઇવિંગ લાયસન્સ માટે ટ્રેક પર ટેસ્ટ આપવા આવેલા અનેક ઉમેદવારોની કામગીરી પણ અધવચ્ચે અટકાવી દેવામાં આવી હતી અને સલામતી ખાતર તેમને પરત મોકલી દેવાયા હતા.
રાજકોટ અને સુરત ની આરટીઓ કચેરીને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. જેને લઈને આરટીઓ કચેરી ખાલી કરાવવામાં આવી છે અને બોમ્બ-ડોગ સ્ક્વોડ ઘટનાસ્થળે પહોંચી છે.
હાલમાં બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની મદદથી આરટીઓ કચેરીના દરેક રૂમ, લોબી, ર્પાકિંગ એરિયા અને ટ્રેક વિસ્તારની ખૂણેખૂણે તપાસ કરવામાં આવી રહી છે. ટેકનિકલ સર્વેલન્સની મદદથી આ ધમકી ક્યાંથી અને કોણે મોકલી છે તે દિશામાં પણ તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.
વડોદરામાં સ્કૂલો સહિતના શૈક્ષણિક સંકુલો, કલેકટર કચેરી, કોર્ટ જેવા સ્થળોએ ધમકી મળ્યા બાદ હવે દરજીપુરા ખાતે આવેલી આરટીઓની કચેરીને ૧૨ઃ૦૦ વાગ્યા સુધીમાં ઝેરી ગેસથી ઉડાવી દેવાની ધમકી આપતો ઇમેલ મળતાં પોલીસ દોડી ગઈ હતી.
પોલીસે આરટીઓનું કામકાજ બંધ કરાવી તમામ સ્ટાફને ગેટ નંબર ત્રણ પર રવાના કર્યો હતો તેમજ આરટીઓના કામ માટે આવેલા લોકોને પણ બહાર મોકલી આપ્યા હતા. ત્યારબાદ સમગ્ર કચેરીમાં તપાસ શરૂ કરવામાં આવી હતી. જો કે, દોઢ કલાકની કામગીરી દરમિયાન કોઈ વાંધાજનક જ હાથ લાગી નથી અને બાકી રહેલી ઓફિસમાં પણ હજી તપાસ ચાલી રહી છે.
ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક સમયથી અમદાવાદની નામચીન શાળાઓ, કોલેજો, પાસપોર્ટ ઓફિસ તેમજ ગ્રામ્ય કોર્ટ અને ગુજરાત હાઈકોર્ટ જેવી સંવેદનશીલ સંસ્થાઓને પણ આ પ્રકારે બોમ્બની ધમકીઓ મળી ચૂકી છે. વારંવાર મળી રહેલી આ પ્રકારની અજ્ઞાત ધમકીઓને પગલે સુરક્ષા એજન્સીઓ વધુ સતર્ક બની છે. શું આ માત્ર કોઈની તોફાની હરકત છે કે કોઈ મોટું કાવતરું, તે તપાસનો વિષય બન્યો છે.

