અમદાવાદ, પશ્ચિમ રેલવેના અમદાવાદ રેલવે સ્ટેશન પર તારીખ 06 એપ્રિલ, 2026ના રોજ રેલવે સુરક્ષા બળ (RPF) ના જવાનોની સતર્કતા અને સાહસથી એક મુસાફરની જાન બચાવવામાં આવી હતી.
મળતી માહિતી અનુસાર, વહેલી સવારે લગભગ 04:00 વાગ્યે ટ્રેન નંબર 09009ના પ્રસ્થાન સમયે એક મુસાફર જનરલ કોચમાં ચઢતા સમયે પ્લેટફોર્મ અને ટ્રેન વચ્ચેના ગેપમાં પડી રહ્યો હતો. આ દરમિયાન પ્લેટફોર્મ પર ફરજ પર હાજર હેડ કૉન્સ્ટેબલ કિશોરી લાલ બલાઈએ તરત જ તેને બચાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ ટ્રેનની ગતિ વધારે હોવાને કારણે મુસાફર તેમની પકડમાં આવી શક્યો નહોતો.
તે જ સમયે સ્થળ પર હાજર RPF ની CPDS (Crime Prevention and Detection Squad) ટીમના સહાયક ઉપ નિરીક્ષક રમણ કુમાર અને કૉન્સ્ટેબલ છોટુ લાલ, જે સાદા વેશમાં ફરજ પર હતા, તેમણે અસાધારણ સાહસ અને તત્પરતા દર્શાવી તરત જ દોડી જઈ પોતાની જાનની પરવા કર્યા વગર મુસાફરને સુરક્ષિત બહાર કાઢ્યો.
મુસાફર સાથે પૂછપરછ કરતાં તેણે પોતાનું નામ મહેન્દ્ર (ઉંમર 42 વર્ષ), નિવાસી સુરત (ગુજરાત) હોવાનું જણાવ્યું. તેણે એ પણ જણાવ્યું કે તે પોતાના પરિવાર સાથે સુરતથી ગાંધીધામ સુધી મુસાફરી કરી રહ્યો હતો અને અમદાવાદ સ્ટેશન પર ચા-નાસ્તા લેવા માટે ઉતર્યો હતો. મુસાફરે પોતે સંપૂર્ણ સુરક્ષિત અને કોઈ ઈજા વગર હોવાનો ઉલ્લેખ કર્યો.
અમદાવાદ મંડળના મંડળ રેલ પ્રબંધક શ્રી વેદ પ્રકાશે જણાવ્યું કે આવા કર્તવ્યનિષ્ઠ અને સતર્ક કર્મચારીઓ રેલવેની સુરક્ષા વ્યવસ્થાની રીડ છે અને મુસાફરોની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
આ ઘટના RPF ના જવાનોની સતર્કતા, કર્તવ્યનિષ્ઠા અને ઉત્તમ સેવા ભાવનાનું પ્રતિબિંબ છે. બંને જવાનો દ્વારા કરવામાં આવેલું આ કાર્ય અત્યંત પ્રશંસનીય છે અને તેમણે સમયસર એક અમૂલ્ય જીવન બચાવી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

