(પ્રતિનિધિ) હિંમતનગર, સાબરકાંઠા જિલ્લામાં યોજાનાર જિલ્લા પંચાયત, આઠ તાલુકા પંચાયત, ત્રણ નગરપાલિકા અને એક નગરપાલિકાની પેટા ચૂંટણી આગામી તારીખ ૨૬ એપ્રિલે યોજાનાર છે ત્યારે ભાજપ, કોંગ્રેસ અને અન્ય પક્ષોમાં ચૂંટણીલક્ષી ગતિવિધી તેજ બની ગઇ છે.
જેના ભાગરૂપે વર્ષોથી સાબરકાંઠામાં વિપક્ષની ભૂમિકા ભજવતી કોંગ્રેસે ઉમેદવારી પત્રો ભરાય તે અગાઉ તથા પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠકમાં નિર્ણય લેવાય તે પહેલા સાબરકાંઠામાં કેટલાક નિષ્ઠાવાન કાર્યકરો અને પદાધિકારીઓને ટીકીટ મળી જશે તેવો ઇશારો કરીને કામે લાગી જવા માટે કહેવાયું છે.
તો બીજી તરફ ભાજપની આજે ગુરૂવારે પાર્લામેન્ટ્રી બોર્ડમાં સાબરકાંઠાના ઉમેદવારો અંગે ચર્ચા કરાયા બાદ આખરી નિર્ણય લેવાય તેવી શકયતા છે. દરમિયાન ચૂંટણીમાં ઝંપલાવવા માંગતા ટીકીટ વાંચ્છુઓ અત્યારથી જ ટેન્શનમાં આવી ગયા છે.
આ અંગે સુત્રોમાંથી મળતી માહિતી મુજબ આગામી તારીખ ૧૧ એપ્રિલના રોજ ઉમેદવારી પત્રો ભરવાની અંતિમ મુદત છે. ત્યારે ભાજપ-કોંગ્રેસ સહિત અપક્ષો દ્વારા માન્ય ઉમેદવારી પત્રો લેવાઇ રહ્યા છે અને આ ઉમેદવારી પત્રોમાં જરૂરી વિગતો ભરવા માટે જાણકારોની મદદ લેવાઇ રહી છે. ત્યારે કોંગ્રેસ દ્વારા હિંમતનગર, ઇડર, વડાલી નગરપાલિકામાં કોંગ્રેસની વિચારસરણી ધરાવતા કાર્યકરોએ ટીકીટની દાવેદારી કરી દીધી છે.
જોકે પક્ષના મોવડીઓએ કાર્યકરોની ઓળખ અંગે જાણકારી તથા પક્ષ માટે કરેલી કામગીરીને ધ્યાનમાં રાખીને તેમને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ટીકીટ મળશે તેવો ઇશારો કરીને લોકસંપર્ક તેજ કરી દેવા માટે કહેવાયું છે. જોકે કોંગ્રેસની પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક એક બે દિવસમાં અમદાવાદ સ્થિત જીપીસીસી કચેરીમાં યોજાશે.
કોંગ્રેસે હિંમતનગર નગરપાલિકામાં પ્રચાર દરમિયાન સ્થાનિક રહીશોની સમસ્યાને વાચા આપવાનું નક્કી કર્યુ છે. ઉપરાંત રોડ-રસ્તા, ગટર તથા અન્ય જીવન જરૂરી સગવડો પુરી પાડવામાં સત્તા પર બેઠેલા પદાધિકારીઓ પ્રજાને પુરો સંતોષ આપી શક્યા નથી
ત્યારે કોંગ્રેસ પોતાના પ્રચારમાં લોકોને સ્પર્શતા મુદ્દાઓ ઉઠાવીને મતદારો પાસે મત માંગશે. તો બીજી તરફ ભાજપ સ્થાનિક સ્વરાજની તમામ બેઠકો પર પોતાના ઉમેદવારો ઉભા રાખવા માટેની તૈયારીઓ કરીને સ્થાનિક કક્ષાએ પેનલ બનાવી પાર્લામેન્ટ્રી બોર્ડમાં મોકલી દીધી છે. જે અંગેનો આખરી નિર્ણય આજે ગુરૂવારે લેવાય તેવી શકયતા છે.

