ઈસનપુરમાં ભાજપનો દબદબો યથાવત રહે તેવા એંધાણ
(દેવેન્દ્ર શાહ) અમદાવાદ, અમદાવાદ મહાનગર સેવાસદનની ચૂંટણીની તારીખ જાહેર થઈ ગઈ છે પરંતુ માહોલ જામી રહયો નથી તેમ જણાઈ આવે છે. અમદાવાદ શહેરમાં ભારતીય જનતા પાર્ટીનો દબદબો છે. તેમાં પણ ખાડીયા જેવા વોર્ડ તેના કાયમી ગઢ ગણાય છે આવો જ એક ગઢ ઈસનપુર પણ છે જયાં મ્યુનિ. કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપનો કયારેય પરાજય થયો નથી.
અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનની હદમાં ઈસનપુર વોર્ડનો ૧૯૮પ-૮૬માં સમાવેશ થયો હતો. ૧૯૮૭માં થયેલ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ દેશના સૌથી નાની વયના સરપંચ તેવા દક્ષેશ મહેતાને ટીકીટ આપી હતી તેમની સાથે રાજકારણમાં બિલકુલ નવા કહેવાય તેવા ગોવિંદભાઈ ઠાકોરને પણ ટિકિટ આપી હતી તેની સામે કોંગ્રેસ પાર્ટીએ તે સમયે ઈસનપુર ગામના મોભી કહેવાય તેવા સ્વર્ગસ્થ રમેશભાઈ પટેલ અને તેમની સાથે મોતીભાઈ ચૌધરીને ટિકિટ આપી હતી.
પરંતુ તે સમયે ભાજપાની પેનલ જીતી ગઈ હતી અને તે સમયે ર૦ર૧ સુધી સતત ભાજપ જીતી રહયું છે અને ર૦ર૬માં પણ ભાજપનો દબદબો યથાવત રહેશે તેમ માનવામાં આવે છે. ઈસનપુરમાં દક્ષેશ મહેતાના નામે એક અનોખો રેકોર્ડ પણ છે. જેમાં તેમણે ૧૯૮૭માં રમેશભાઈ પટેલને હરાવ્યા હતાં જયારે ર૦૦પમાં તેમના પુત્રને પણ હરાવ્યા હતાં આમ પિતા-પુત્રની જોડીને હરાવનાર દક્ષેશ મહેતા એકમાત્ર કોર્પોરેટર છે.
ર૦ર૬ની ચૂંટણી માટે આ લખાય છે ત્યાં સુધી ભારતીય જનતા પાર્ટી તરફથી ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા નથી. ર૦ર૧માં ઈસનપુરમાં ૧૦૦૬૮૬ મતદારો હતા. મતદાર યાદી સુધારણા બાદ હાલ ૭૩ હજાર મતદાર જ રહયા છે. આમ ઈસનપુરમાં ર૩ હજાર કરતા વધુ મતદારોનો ઘટાડો થયો છે. ઈસનપુર વોર્ડમાં બ્રહ્મસમાજનું પણ વર્ચસ્વ રહયું છે.
આ વોર્ડમાંથી ભાજપના રમાબેન જોષી સતત ત્રણ વખત ચૂંટણી જીત્યા હતાં. ર૦ર૬માં ભાજપ તેની પેનલ રિપીટ કરે તેવા કોઈ સંજોગો દેખાતા નથી. પૂર્વ કોર્પોરેટર મૌલિક પટેલ રીપીટ થાય તેમ છે તે સિવાય મહિલા ઉમેદવારોમાં નીધિબેન શાહનું નામ ચાલી રહયું છે. જયારે ભાજપના વર્ષો જુના કાર્યકર સૌરભ વ્યાસના પરિવારમાંથી પણ એક મહિલા ઉમેદવારને ટિકિટ આપવામાં આવે તેમ માનવામાં આવે છે.
સામા પક્ષે કોંગ્રેસમાંથી હર્ષ યાજ્ઞિક, અરૂણાબેન વોરા અને રંજનબેન રાજપુરોહિતના નામ લગભગ કન્ફર્મ આવ્યા છે. ર૦ર૧ની ચૂંટણીમાં અહિંયા મહિલા (એસસી) અનામત હતી જે ર૦ર૬માં રદ થઈ તેના સ્થાને પુરૂષ ઓબીસી અનામત આવી છે. ઈસનપુરની સમસ્યામાં ગેરકાયદેસર બાંધકામ મુખ્ય છે.
મ્યુનિ. કોર્પોરેશન દ્વારા થોડા સમય પહેલા તળાવ ડેવલપમેન્ટ માટે ર૦૦૦ કરતા વધુ મકાનોના ડીમોલેશન કરવામાં આવ્યા હતાં જેના કારણે સ્થાનિક નાગરિકોમાં થોડોઘણો આક્રોશ છે તેમ છતાં અહીં ભારતીય જનતા પાર્ટીનો દબદબો યથાવત જોવા મળી રહયો છે.

