ઈસ્લામાબાદમાં અમેરિકા અને ઈરાન વચ્ચેની મંત્રણા નિષ્ફળ થયા બાદ બંને દેશો ફરી એકવાર સામ-સામે વાતચીત માટે સંપર્કમાં છે. બ્લૂમબર્ગના રિપોર્ટ અનુસાર, બંને દેશો વધી રહેલા સંઘર્ષને ઘટાડવા અને લાંબા ગાળાના યુદ્ધવિરામ પર સમજૂતી પર પહોંચવાના ઉદ્દેશ્ય સાથે ફરી એકવાર ચર્ચા કરી શકે છે. આ મહિને હસ્તાક્ષર કરાયેલ અસ્થાયી યુદ્ધવિરામ સમાપ્ત થવા જઈ રહ્યો છે. શક્ય છે કે આ પહેલા બંને દેશો ફરી એકવાર સામસામે ચર્ચા કરે. રિપોર્ટ અનુસાર, બંને દેશોએ સંકેત આપ્યા છે કે ઇસ્લામાબાદ મંત્રણા નિષ્ફળ જાય તો પણ વાતચીતનો માર્ગ ખુલ્લો રહેશે. પાકિસ્તાન છોડતી વખતે અમેરિકી પ્રમુખ જેડી વેન્સે પણ કહ્યું હતું કે તેઓ ઈરાન સમક્ષ અંતિમ અને શ્રેષ્ઠ પ્રસ્તાવ સાથે વિદાય લઈ રહ્યા છે.
હવે ચર્ચા ક્યાં થશે?
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે બીજા તબક્કાની વાતચીત પણ ઈસ્લામાબાદમાં જ થઈ શકે છે. અમેરિકા અને તેહરાન વચ્ચે મંત્રણા યોજવામાં પાકિસ્તાન મુખ્ય મધ્યસ્થી તરીકેની ભૂમિકા ભજવી રહ્યું છે. પાકિસ્તાની અધિકારીઓએ કહ્યું છે કે તેઓ બંને પક્ષોના સંપર્કમાં છે અને ઈચ્છે છે કે અસ્થાયી યુદ્ધવિરામ સમાપ્ત થાય તે પહેલા વાતચીત થાય.
પાકિસ્તાને વાતચીતની આશા વ્યક્ત કરી હતી
પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે સોમવારે કહ્યું કે ઈરાન-યુએસ વાટાઘાટોનો આગામી રાઉન્ડ ટૂંક સમયમાં શરૂ થવાની આશા છે. ઈસ્લામાબાદમાં આયોજિત મંત્રણા નિષ્ફળ થયાના એક દિવસ બાદ આસિફે આ નિવેદન આપ્યું છે. અમેરિકા અને ઈરાન વચ્ચે શનિવારે શરૂ થયેલી વાટાઘાટો 1979 પછી આ પ્રકારની પ્રથમ મંત્રણા હતી, જેમાં બંને પક્ષના ટોચના અધિકારીઓએ ભાગ લીધો હતો. જો કે, સપ્તાહના અંતે પાકિસ્તાનમાં યોજાયેલી વાટાઘાટો બાદ દુશ્મનાવટનો અંત લાવવા માટે બંને પક્ષો કાયમી શાંતિ સોદા સુધી પહોંચવામાં નિષ્ફળ રહ્યા હતા.
સંસદ ભવનની બહાર મીડિયા સાથે વાત કરતા આસિફે કહ્યું કે મંત્રણા બાદ સંતોષની લાગણી છે કે અત્યાર સુધી કોઈ નકારાત્મક ઘટનાક્રમ નથી થયો. “માત્ર સકારાત્મક પ્રગતિ જોવા મળી છે, જે સૂચવે છે કે ચાલી રહેલા રાજદ્વારી પ્રયાસો રચનાત્મક દિશામાં આગળ વધી રહ્યા છે,” તેમણે ઉમેર્યું હતું કે ઈરાન-યુએસ વાટાઘાટોનો આગામી રાઉન્ડ ટૂંક સમયમાં શરૂ થવાની અપેક્ષા છે.

