(એજન્સી)સુરત, સુરતમાં પ્રસાદમાં ઝેર ભેળવી આખા પરિવારને ખતમ કરવાના પૂર્વ આયોજીત કાવતરાનો પર્દાફાશ થયો હતો. ઉત્રાણની શાલીગ્રામ હાઇટ્સમાં રહેતા પરિવારના દરવાજા પર ઝેરયુક્ત લાડુનો પ્રસાદ લટકાવી મોતના મુખમાં ધકેલવાનો પ્રયાસ થયો હતો. પોલીસે સીસીટીવીના આધારે પાંચ શંકાસ્પદોની ઓળખ કરી પૂછપરછ શરૂ કરી છે.
મળતી જાણકારી અનુસાર, શાલીગ્રામ હાઇટ્સમાં ૧૦ તારીખે ગોરધનભાઇ ડોંડાના ઘરના મુખ્ય દરવાજાના હેન્ડલ પર બુંદીના લાડુવાળી થેલી લટકતી હતી. સામાન્ય રીતે પરિચિતો કે પડોશીઓ આ રીતે પ્રસાદ વહેંચતા હોય છે. જેથી તેમને કોઈ શંકા ગઈ ન હતી. ગોરધનભાઇ, તેમના પત્ની અને પુત્રવધુએ આ લાડુ ખાધા હતા.
જેના થોડા સમયમાં ત્રણેયની તબિયત લથડી હતી અને તેમને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. ઝેરની અસર ગોરધનભાઇ પર સૌથી વધુ જોવા મળી હતી. હાલમાં તેમની સ્થિતિ અત્યંત નાજુક હોવાનું જાણવા મળ્યું છે. તબીબોને ગંભીર અસર જોતા શંકા ગઈ હતી.
પ્રસાદના નમૂનાની તપાસ કરતા લાડુમાં અનાજમાં નાખવામાં આવતી ગોળીઓ મળી આવી હતી. ઘટનાની ગંભીરતાને જોતા ઉત્રાણ પોલીસે તપાસ હાથ ધરી છે. શાલીગ્રામ હાઇટ્સના સીસીટીવી ફૂટેજમાં પાંચ વ્યક્તિઓની હિલચાલ શંકાસ્પદ દેખાઈ હતી. જેની ઓળખ કરી પૂછપરછ કરવામાં આવી રહી છે.
પોલીસના સૂત્રોના જણાવ્યા અનુસાર, તા. ૧૦મીના રોજ બપોરના સમયે જ્યારે ગોરધનભાઇ પોતાના ઘરે આવ્યા ત્યારે તેમણે ઘરના મુખ્ય દરવાજાના હેન્ડલ પર એક થેલી લટકતી જોઈ હતી. આ થેલીમાં બુંદીના લાડુ હતા. સામાન્ય રીતે પરિચિતો કે પડોશીઓ આ રીતે પ્રસાદ વહેંચતા હોય છે તેથી ગોરધનભાઇને કોઈ શંકા ગઈ ન હતી. તેઓ આ પ્રસાદ ઘરે લઈ ગયા હતા. પરિવારના સભ્યો વચ્ચે આ પ્રસાદ વહેંચવામાં આવ્યો હતો.

