વિધાન સભા અધ્યક્ષશ્રી અને મંત્રીશ્રીઓએ બાબા સાહેબ આંબેડકર ને ભાવાંજલિ આપી
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે ભારતીય બંધારણના નિર્માતા અને ભારત રત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકરની ૧૩૫મી જન્મજયંતીએ ગાંધીનગર ખાતે આયોજિત વિવિધ કાર્યક્રમોમાં સહભાગી થઈ ને ભાવવંદના કરી હતી.
મુખ્યમંત્રીશ્રીએ સૌ પ્રથમ ગુજરાત વિધાનસભાના પોડિયમ ખાતે ડૉ. બાબાસાહેબ આંબેડકરના તૈલચિત્રને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
ત્યારબાદ,તેમણે વિધાનસભા સંકુલની સામે આવેલ ડૉ. આંબેડકર પ્રતિમા સંકુલ પ્રેરણા ભૂમિ ખાતે સ્થાપિત કરવામાં આવેલી બાબા સાહેબ ની પૂર્ણ કદની પ્રતિમાને પુષ્પહાર અર્પણ કરી ભાવ વંદના કરી હતી.

આ પ્રસંગે રંગોળી ઈન્ટરનેશનલ શાળાની વિદ્યાર્થિનીઓએ ડૉ. ભીમરાવ આંબેડકરની જીવન ઝાંખી પ્રસ્તુત કરતું પ્રભાવશાળી વક્તવ્ય રજૂ કર્યું હતું.
મુખ્યમંત્રીશ્રી ગાંધીનગરના સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડન પ્રેરણા ભૂમિ ખાતે જનમેદની સાથે બંધારણના ઘડવૈયા ની જન્મ જયંતિ ઉજવણીમાં સહભાગી થયા હતા. આ સમયે સમગ્ર વાતાવરણ‘જય ભીમ‘ના નારાઓથી ગુંજી ઉઠ્યું હતું.
આ અવસરે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી,સામાજિક ન્યાય અને અધિકારીતા તથા શિક્ષણ મંત્રી શ્રી પ્રદ્યુમન વાજા સહિત મંત્રીમંડળના સદસ્યો,વિધાનસભાના પદાધિકારીઓ,ધારાસભ્યશ્રીઓ,સંગઠનના હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં નાગરિકો,શાળાના વિદ્યાર્થીઓ અને સંતો-મહંતો ઉપસ્થિત રહ્યા હતા. સૌએ ડૉ. આંબેડકરજીના રાષ્ટ્ર નિર્માણમાં પ્રદાનને યાદ કરીને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા.

