લોહીલુહાણ હાલતમાં માતા સિવીલમાં દાખલ, પુત્ર સામે ફરિયાદ
(એજન્સી)અમદાવાદ, શહેરમાં લોહીના સંબંધોને લાંછન લગાડતી એક ચોકાવનારી ઘટના વસ્ત્રાલ વિસ્તારમાં બની હતી. જેમાં વસ્ત્રાલની જલપરી સોસાયટીમાં માત્ર ટીવી ચાલુ રાખવા જેવી સામાન્ય તકરારમાં એક પુત્રએ આવેશમાં આવી પોતાની સગી માતા પર લાકડાના ડંડા વડે જીવલેણ હુમલો કર્યો છે.
આ હુમલામાં પ૬ વર્ષીય માતાને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોચતા તેમને તાત્કાલીક સારવાર અર્થે સીવીલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ મામલે પોલીસે ફરીયાદ નોધી તપાસ આદરી છે.
વસ્ત્રાલની જલપરી સોસાયટીમાં રહેતા સુનીતાદેવી ભદોરીયા ઉ.વ.પ૬ તેમના પુત્ર અર્જુનસિંહ સાથે રહે છે. ગત ૧૪ એપ્રીલની મોડી રાત્રે અંદાજે દોઢ વાગ્યા સુધી પુત્ર અર્જુન ટીવી જોતો હોવાથી માતાએ તેની ટીવી બંધ કરી સુઈ જવા માટે ટકોર કરી હતી. આ વાતથી અર્જુન ઉશ્કેરકાઈ ગયો હતો.
અને માતા સાથે ઝઘડો કર્યો હતો. જોકે તે સમયે મામલો થાળે પડયો હતો. બીજા દિવસે સવારે ૧૧ વાગ્યાની આસપાસ અર્જુન અતે તેના ભાઈ અંકીત વચ્ચે ફરી ટીવી ચાલુ રાખવા બાબતે બોલાચાલી થઈ હતી. જેમાં પણ માતાએ દરમ્યાનગીરી કરી બંનેને સમજાવ્યા હતા.
પરંતુ અર્જુનની ગુસ્સો શાંત થયો ન હતો. બપોરે અઢી વાગ્યાના સુમારે જયારે સુનીતાદેવી ઘરમાં સુતા હતા. ત્યારે અર્જુને તેમને ગાળો ભાંડવાનું શરૂ કર્યું હતું. પુત્રને ગાળો બોલવાની ના પાડતા તે એકદમ હિંસક બની ગયો હતો અને ઘરમાં પડેલા લાકડાને ડંડો ઉપાડી માતાના માથામાં જોરદાર ફટકો મારી દીધો હતો. માથામાંથી લોહીની ધારાઓ વહેવા લાગતા સુનીતાદેવીએ બુમાબુમ કરી મુકી હતી.
આસપાસના લોકો અને પરીવારના સભ્યો દોડી આવતા હુમલાખોર અર્જુન ઘટનાસ્થળેથી ભાગી ગયો હતો. ઈજાગ્રસ્ત વૃદ્ધાને ૧૦૮ એમ્બયુલન્સ મારફતે અમદાવાદ સીવીલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ મામલે રામોલ પોલીસ સ્ટેશનમાં અર્જુનસિંહ શિવકરણસિંહ ભદોરીયા વિરૂધ્ધ્ ગુનો દાખલ કરાયો છે. પીએસઆઈ વિપુલકુમાર મકવાણાએ આ કેસની વધુ તપાસ હાથ ધરી છે.

