કાઠમંડુના ત્રિભુવન ઇન્ટરનેશનલ એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી હતી. અહીં તુર્કી એરલાઈન્સના વિમાનના ટાયરમાં આગ લાગી ગઈ હતી. ફાયર બ્રિગેડની ટીમને તાત્કાલિક બોલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. મળતી માહિતી મુજબ પ્લેન લેન્ડિંગ કરતી વખતે તેના ટાયરમાં આગ લાગી હતી. આ પછી એરપોર્ટ પર પણ હંગામો મચી ગયો હતો. વિમાન બંધ થતાં જ તાત્કાલિક ઇમરજન્સી ગેટ ખોલી દેવામાં આવ્યા હતા અને મુસાફરોને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા.
એરપોર્ટ અધિકારીઓના જણાવ્યા અનુસાર, ઈસ્તાંબુલથી આવી રહેલું એક વિમાન કાઠમંડુના ત્રિભુવન ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઉતર્યું હતું અને તેના જમણા લેન્ડિંગ ગિયર પર આગ અને ધુમાડો દેખાતો હતો. તેમણે કહ્યું કે ઈમરજન્સી ટીમે તાત્કાલિક કાર્યવાહી કરીને આગને કાબૂમાં લીધી હતી અને મુસાફરોને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા.
ઘટના બાદ સોમવારે સવારે એરપોર્ટ બંધ કરી દેવામાં આવ્યું હતું. એરબસ 330 વિમાનમાં 277 મુસાફરો સવાર હતા. સત્તાવાળાઓએ તપાસ હાથ ધરી હતી અને એરપોર્ટ પર ઉપલબ્ધ એકમાત્ર રનવેને ખાલી કરવાનો પ્રયાસ કર્યો હોવાથી ઘણી ઇનકમિંગ ફ્લાઇટ્સ ગ્રાઉન્ડ થઈ ગઈ હતી.

