જાપાનના સૈતામા પ્રાંતના કાવાગો શહેરમાં કાયદાકીય મંજૂરી વિના મસ્જિદ બનાવવાનો મામલો સામે આવ્યો છે. આ વિવાદે જોર પકડ્યા બાદ જાપાનમાં પાકિસ્તાની દૂતાવાસ આ પ્રોજેક્ટથી સંપૂર્ણપણે દૂર થઈ ગયો છે. જાપાની અધિકારીઓનું કહેવું છે કે મસ્જિદ સ્થાનિક કાયદા હેઠળ જરૂરી મંજૂરી મેળવ્યા વિના બનાવવામાં આવી હતી. આ ગેરકાયદે બાંધકામ દુર થાય તેવી પણ શક્યતા છે.
જાપાની અખબાર ‘ધ અસાહી શિમ્બુન’ના અહેવાલ મુજબ, આ મસ્જિદ લગભગ 4,500 ચોરસ મીટરના પ્લોટ પર બનાવવામાં આવી છે, જેને પર્વતીય જંગલની જમીન તરીકે વર્ગીકૃત કરવામાં આવી છે. આ વિસ્તાર શહેરીકરણ નિયંત્રણ ઝોન હેઠળ આવે છે, જ્યાં સ્થાનિક સત્તાવાળાઓની વિશેષ પરવાનગી વિના કોઈપણ પ્રકારનું બાંધકામ સંપૂર્ણપણે પ્રતિબંધિત છે.
કાવાગો શહેરના અધિકારીઓએ સ્પષ્ટતા કરી છે કે મસ્જિદના નિર્માણ માટે કોઈ જરૂરી મંજૂરીઓ લેવામાં આવી નથી. “આ મસ્જિદ શહેરી વિકાસ નિયંત્રણ વિસ્તારમાં બાંધવામાં આવી છે, જ્યાં સામાન્ય રીતે સિટી પ્લાનિંગ એક્ટ હેઠળ વિશેષ પરવાનગી મેળવ્યા વિના બાંધકામ પર પ્રતિબંધ છે. પ્રશ્નમાં રહેલી ઇમારત શહેરની પરવાનગી વિના બાંધવામાં આવી છે,” મ્યુનિસિપલ સરકારે એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું.
પ્રોપર્ટી રેકોર્ડ્સ દર્શાવે છે કે જમીનની માલિકી માર્ચ 2025માં ફુજીમી સ્થિત રિયલ એસ્ટેટ કંપનીમાંથી કાવાગોઈના સરનામા પર નોંધાયેલ ફર્મમાં બદલાઈ ગઈ હતી.
રાજદૂતની હાજરીને કારણે વિવાદ વધ્યો
આ મામલો એટલા માટે પણ ચર્ચાનો વિષય બન્યો છે કારણ કે આ વર્ષની શરૂઆતમાં જાપાનમાં પાકિસ્તાનના રાજદૂત અબ્દુલ હમીદે પોતે આ મસ્જિદના ઉદ્ઘાટન સમારોહમાં ભાગ લીધો હતો. આ વિવાદમાં યાશિઓ મસ્જિદનું પ્રતિનિધિત્વ કરતા 62 વર્ષીય પાકિસ્તાની નાગરિક શકીલ શેખ મોહમ્મદે કાવાગો પ્રોજેક્ટની ટીકા કરી છે. તેમણે કહ્યું, “જો તેઓ પરવાનગી વગર મસ્જિદ બનાવી રહ્યા હોય તો તે સારી વાત નથી. સ્થાનિક લોકો સાથે સારા સંબંધો જાળવીને જ મસ્જિદ માટે અનુકૂળ વાતાવરણ બનાવી શકાય છે.”

