(પ્રતિનિધિ) અમદાવાદ, ભારત સરકારની માર્ગદર્શિકા અનુસાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સિટી સેન્સસ વિભાગ દ્વારા આજ રોજ તારીખ ૦૧ જૂન, ૨૦૨૬ થી વસ્તી ગણતરીના પ્રથમ તબક્કાની એટલે કે ‘હાઉસ લિસ્ટિંગ અને હાઉસિંગ સેન્સસ’ (ઘરગણતરી અને મકાનની યાદી) ની કામગીરીનો સત્તાવાર રીતે પ્રારંભ કરવામાં આવ્યો છે.
આ રાષ્ટ્રીય કામગીરીના પ્રથમ તબક્કા અંતર્ગત અંદાજે ૧૦૭૦૦ જેટલા બ્લોકમાં કામગીરી કરવા અંદાજે ૧૩,૦૦૦ થી વધુ ગણતરીદાર તથા સુપરવાઇઝરની નિમણૂક કરવામાં આવેલ છે. વસ્તી ગણતરી દરમ્યાન નિયુક્ત કરાયેલા ગણતરીદારો અને સુપરવાઈઝરો દ્વારા તેઓને ફાળવવામાં આવેલ બ્લોકની (વિસ્તારની) રૂબરૂ મુલાકાત લેવામાં આવશે. વિસ્તારની ભૌગોલિક સ્થિતિ સમજવા અને એક પણ ઘર છૂટી ન જાય તે હેતુથી વિસ્તારનો લેઆઉટ નકશો (Layout Map) તૈયાર કરવામાં આવશે.
મકાનોને નંબર આપવાની કામગીરી (House Numbering): શહેરના તમામ રહેણાંક, બિન-રહેણાંક, સંસ્થાકીય તેમજ ખાલી પડેલા મકાનોની ચોક્કસ ઓળખ સુનિશ્ચિત કરવા માટે ક્રમાનુસાર ઘરના નંબર આપવાની કામગીરી કરવામાં આવશે.
દરેક મકાનની ગણતરી કરી તેની વ્યવસ્થિત યાદી તૈયાર કરવામાં આવશે. તેમાં મકાનનો ઉપયોગ કયા હેતુ (રહેઠાણ, દુકાન, ઓફિસ કે અન્ય) માટે થઈ રહ્યો છે તેની નોંધ લેવાશે.ભૌતિક સુવિધાઓની માહિતી એકત્રીકરણ: મકાનની સ્થિતિ, પીવાનું પાણી, વીજળી, શૌચાલયની વ્યવસ્થા, ડ્રેનેજ, રાંધણ ગેસ, તેમજ ઘરમાં ઉપલબ્ધ વાહનો તથા અન્ય ભૌતિક સંપત્તિ અંગેની પ્રાથમિક વિગતો એકત્ર કરવામાં આવશે. કુટુંબની પ્રાથમિક વિગતો: ઘરમાં રહેતા કુટુંબના વડાનું નામ અને સભ્યોની પ્રાથમિક સંખ્યા નોંધવામાં આવશે.
વસ્તી ગણતરી એ દેશના અને શહેરના ભવિષ્યના આયોજન, માળખાગત સુવિધાઓના વિકાસ અને કલ્યાણકારી યોજનાઓના ઘડતર માટેનો એક અત્યંત મહત્વપૂર્ણ આધાર છે.નિયુક્ત કરાયેલા ગણતરીદારો અને સુપરવાઈઝરો જ્યારે આપના ઘરે મુલાકાતે આવે, ત્યારે તેઓનું સત્તાવાર ઓળખપત્ર ચકાસીને તેમને સાચી અને સચોટ માહિતી પૂરી પાડી સંપૂર્ણ સહકાર આપવા અમદાવાદના તમામ પ્રબુદ્ધ નાગરિકોને નમ્ર અપીલ કરવામાં આવે છે.
સેન્સસ એક્ટ, ૧૯૪૮ (વસ્તી ગણતરી અધિનિયમ) ની જોગવાઈઓ હેઠળ નાગરિકો દ્વારા આપવામાં આવતી તમામ માહિતી કાયદાકીય રીતે સંપૂર્ણપણે ગુપ્ત રાખવામાં આવશે અને તેનો ઉપયોગ માત્ર આંકડાકીય વિશ્લેષણ માટે ભારત સરકાર દ્વારા જ કરવામાં આવશે.

