ગાંધીનગર: રાજ્યમાં ખાદ્યપદાર્થો અંગે વ્યાપક અસમંજસ પ્રવર્તી રહી છે. જેને લઈને ગાંધીનગરથી ખાદ્ય અને ઔષધ નિયમન તંત્ર દ્વારા રાજ્યભરમાં દરોડા પાડવામાં આવી રહ્યા છે. મોરબી જિલ્લાના હળવદ ખાતે ફૂડ એન્ડ ડ્રગ રેગ્યુલેટરી ઓથોરિટીની ટીમ દ્વારા વરિયાળીમાં ભેળસેળનું કૌભાંડ ઝડપાયું છે, જેમાં અંદાજે રૂ. 1.13 કરોડની કિંમતની 59 હજાર કિલો વરિયાળી અને કલર જપ્ત કરવામાં આવ્યો છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના માર્ગદર્શન હેઠળ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન દ્વારા મસાલા સહિતની આવશ્યક ખાદ્ય ચીજોની ચકાસણી કરવામાં આવી રહી છે. આ તપાસ દરમિયાન ખાદ્યપદાર્થોમાં કોઈપણ પ્રકારની ભેળસેળ જોવા મળે તો આવા તત્વો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે.
મોરબી જીલ્લાના હળવદ તાલુકાના અવધ ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં હિતેશભાઈ મુકેશભાઈ અગ્રવાલ નામનો વ્યક્તિ વરિયાળીમાં કલર ઉમેરી ભેળસેળયુક્ત વરિયાળીનું વેચાણ કરતો હોવાનું જણાવાયું હતું. જેના આધારે ફૂડ એન્ડ ડ્રગ રેગ્યુલેટરી ઓથોરિટી-મોરબી અને લોકલ ક્રાઈમ બ્રાન્ચ-મોરબીની સંયુક્ત ટીમે ઓચિંતી તપાસ કરતાં વરિયાળીમાં અખાદ્ય કલર ભેળવવાનો કેસ પકડી પાડ્યો છે. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે ભેળસેળવાળી વરિયાળીનું ઉત્પાદન કરવામાં આવે છે અને નબળી ગુણવત્તાવાળી આખી વરિયાળીને ડાઈ કરીને વેચવામાં આવે છે. આ સાથે સ્થળ પરથી ભેળસેળ માટેના અખાદ્ય રંગો પણ મળી આવ્યા હતા.
એવું જાણવા મળ્યું હતું કે પેઢી કોઈપણ ફૂડ લાયસન્સ વિના ગેરકાયદેસર ધંધો કરતી હતી અને દિલ્હી અને અન્ય રાજ્યોમાં ભેળસેળયુક્ત વરિયાળીનું વેચાણ કરતી હતી. તપાસ દરમિયાન ખાદ્ય અને ઔષધ નિયમન તંત્ર દ્વારા સ્થળ પર કુલ 6 સેમ્પલ લેવામાં આવ્યા હતા, જેમાંથી 3 વરિયાળીના અને 3 કલરના હતા. આ ઉપરાંત રૂ. 1.11 કરોડની કિંમતનો 56 હજાર કિલો વરિયાળી અને રૂ. 1.82 લાખની કિંમતનો 3 હજાર કિલો કલર મળીને કુલ રૂ. 1.13 કરોડનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. ફૂડ એન્ડ ડ્રગ રેગ્યુલેટરી કમિશનના કમિશનર ડો. એચ.જી. કોશિયાએ જણાવ્યું કે, પોલીસે ભેળસેળવાળી વરિયાળી બનાવનાર હિતેશ મુકેશ અગ્રવાલની અટકાયત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.