Madhupura Satta Scam: અમદાવાદના બહુચર્ચિત માધવપુરા સટ્ટાકાંડ કેસમાં હવે તપાસનો કંટ્રોલ સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) પાસે જતા જ કાયદાની જાળમાં મોટા બુકીઓ ફસાઈ રહ્યાં છે. તાજેતરમાં આ કેસનો મુખ્ય સૂત્રધાર ગણાતા હર્ષિત બાબુલાલ જૈનને પણ કાયદાની જાળમાં લાવવામાં આવ્યો છે.
તરલ ભટ્ટ દ્વારા પકડાયો હતો કરોડોનો સટ્ટાકાંડ
25 માર્ચ 2023ના રોજ તે સમયે અમદાવાદ પીસીબીમાં ફરજ બજાવતા PI તરલ ભટ્ટે માધવપુરામાં દરોડો પાડી ક્રિકેટ બેટિંગ અને ડબ્બા ટ્રેડિંગનો એક વિશાળ કૌભાંડ બહાર લાવ્યો હતો. આ કાંડની અંદાજિત રકમ 2273 કરોડ રૂપિયા જેટલી હોવાનું સામે આવ્યું હતું. જોકે, કેસ નોંધાવાની સાથે જ તોડપાણી શરૂ થતા મામલો રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય સુધી પહોંચ્યો અને પછી તપાસ IPS નિર્લિપ્ત રાયને સોંપવામાં આવી.
હર્ષિત જૈન સહિત અનેક બુકીઓ પર આરોપ
આ કેસમાં શરૂઆતથી જ હર્ષિત જૈન, ક્રિકેટ સટ્ટા કિંગ અમિત મજેઠીયા, સૌરભ ચંદ્રાકર ઉર્ફે મહાદેવ અને શેરબજાર ડબ્બા ટ્રેડિંગનો માસ્ટર માઈન્ડ દીપક ઠક્કર ઉર્ફે દીપક ડીલક્ષ સહિત અનેક આરોપીઓના નામ સામે આવ્યા હતા. Team SMC અત્યાર સુધીમાં 37 લોકોની ધરપકડ કરી ચૂકી છે, જ્યારે 151થી વધુ આરોપીઓ હજી ફરાર છે.
હર્ષિત જૈન પર આરોપ છે કે તે દીપક ડીલક્ષના સહકારથી બેંક ખાતાઓ મારફતે કરોડો રૂપિયા હવાલા સિસ્ટમ થકી ફેરવતો હતો.
દીપક ડીલક્ષ પહેલા પકડાયો, હવે હર્ષિત
આ કેસમાં સૌથી મોટો ઝટકો ત્યારે આવ્યો જ્યારે દીપક ડીલક્ષને એક વર્ષ અગાઉ દુબઈ એરપોર્ટ પરથી રેડ કૉર્નર નોટિસ હેઠળ પકડીને ગુજરાત લાવવામાં આવ્યો હતો. હવે હર્ષિત જૈનને પણ દુબઈમાંથી ડિપોર્ટ કરી ભારત લાવવામાં આવ્યો છે.
હજી પણ બે મોટા બુકી ફરાર
SMCના અધિકારીઓ જણાવે છે કે કેસમાં હજુ પણ અમિત મજેઠીયા અને સૌરભ ચંદ્રાકર ઉર્ફે મહાદેવ જેવા મોટા બુકીઓ વિદેશમાં છુપાયેલા છે. તેમના પર પણ રેડ કૉર્નર નોટિસ બહાર પાડવામાં આવી છે અને તેમને ભારતમાં લાવવા પ્રયાસો ચાલુ છે.
આ રીતે, માધવપુરા સટ્ટાકાંડ જે એક સમયે માત્ર પોલીસ અને તોડપાણી સુધી મર્યાદિત લાગતો હતો, તે હવે સ્ટેટ મોનિટરિંગ સેલના હાથમાં જતા જ મોટા બુકીઓ માટે કાયદાની જાળમાંથી છટકાવું મુશ્કેલ બન્યું છે.

