મુખ્યમંત્રી ગ્રામોત્થાન યોજનાનો લાભ મળતા નવા બનનારા તાલુકા મથકોનો શહેરી ઢબે વિકાસ થઈ શકશે
૨૦૧૩ પછી પ્રથમવાર જિલ્લા તાલુકાઓની સંખ્યામાં મોટો ફેરફાર થશે
વડાપ્રધાનશ્રીએ કરેલા વિકસિત ભારત@૨૦૪૭ના સંકલ્પમાં વિકસિત ગુજરાત@૨૦૪૭માટે આ નવા તાલુકાઓની રચના મહત્વપૂર્ણ બનશે
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકે રાજ્યના અવિરત વિકાસને ગતિ આપતો મહત્વપૂર્ણ જનહિતલક્ષી નિર્ણય કર્યો છે.
રાજ્ય મંત્રીમંડળે નાગરિકો,પ્રજાવર્ગો અને પદાધિકારીઓની રજૂઆતોનો સકારાત્મક પ્રતિસાદ આપતા બનાસકાંઠામાંથી નવો વાવ–થરાદ જિલ્લો તેમજ હાલના રાજ્યના ૨૧ તાલુકામાંથી નવા૧૭તાલુકાની રચના કરવાની દરખાસ્તને સર્વાનુમતે મંજૂરી આપી છે.
રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી શ્રી ઋષિકેશ પટેલે મંત્રીમંડળના આ મહત્વપૂર્ણ નિર્ણયની ભૂમિકા આપતા કહ્યું કે,વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વહીવટી સરળીકરણનો જે વિચાર આપ્યો છે તેને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના દિશાદર્શનમાં વર્તમાન રાજ્ય સરકાર વેગવંતો બનાવી રહી છે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વની સરકારે રાજ્ય શાસનમાં વહિવટી વિકેન્દ્રીકરણથી લોકોને જિલ્લા- તાલુકા કક્ષાની કચેરીઓ સાથેના કામકાજમાં સુગમતા રહે તેમજ નવુ તાલુકા મથક નજીકમાં જ મળવાથી સામાજિક,આર્થિક,આરોગ્યઅને શૈક્ષણિક સહિતની સર્વગ્રાહી સુવિધામાં વધારો થાય તેમજ અંતરિયાળ ગામોમાંથી તાલુકા મથકે આવવા-જવામાંથી સમય,શક્તિ અને નાણાંનો પણ બચાવ થાય તેવા પ્રજાહિતલક્ષી ઉદાત્ત અભિગમથી આ નવા ૧૭ તાલુકાઓની રચનાને મંજુરી આપી છે તેમ પ્રવક્તા મંત્રીશ્રીએ ઉમેર્યુ હતુ.
પ્રવક્તા મંત્રીશ્રીએ જણાવ્યું કે,વાવ-થરાદ જિલ્લામાં હાલના બનાસકાંઠા જિલ્લાના 6 તાલુકાઓ વાવ,થરાદ,સુઈગામ,ભાભર,દિયોદરઅને લાખણીનો સમાવેશ કરીને થરાદને જિલ્લા મુખ્ય મથક સાથે વાવ-થરાદ જિલ્લાની રચનાને કેબિનેટ દ્વારા મંજુરી આપવામાં આવી છે.
પ્રવક્તા મંત્રી શ્રી ઋષિકેશ પટેલે નવા તાલુકાઓની રચના અંગેની વિગતો આપતા કહ્યું કે,વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી તરીકે તાલુકા એકમને વિકાસ અને વહિવટમાં વધુ સશક્ત બનાવવાATVTઆપણો તાલુકો વાયબ્રન્ટ તાલુકાની વિભાવના આપી હતી અને ૨૦૧૩માં નવા ૨૩ તાલુકાઓની તેમણે કરેલી રચના પછી પ્રથમવાર સૌથી વધુ સંખ્યામાં ૧૭ નવા તાલુકાઓની રચનાનો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની સરકારે નિર્ણય કર્યો છે.
તેમણે જણાવ્યુ કે,મુખ્યમંત્રીશ્રીએ ગત સ્વતંત્રતા દિવસે મુખ્યમંત્રી ગ્રામોત્થાન યોજનાની જે જાહેરાત કરેલી છે તેનો લાભ નવા બનનારા તાલુકા મથકોને મળવાથી તેનો પણ શહેરી ઢબે વિકાસ થઈ શકશે.

