અફઘાનિસ્તાને તાજેતરના અફઘાન-પાકિસ્તાન સંઘર્ષમાં ભારતની ભૂમિકા હોવાના પાકિસ્તાનના દાવાને સંપૂર્ણપણે ફગાવી દીધો છે. અફઘાનિસ્તાનના સંરક્ષણ પ્રધાન મોહમ્મદ યાકુબે કહ્યું કે પાકિસ્તાનના આરોપો પાયાવિહોણા, અવૈજ્ઞાનિક અને અસ્વીકાર્ય છે. તેમણે સ્પષ્ટ કર્યું કે અફઘાનિસ્તાન રાષ્ટ્રીય હિતોના માળખામાં ભારત સાથે તેના સંબંધોને વધુ મજબૂત કરવા માંગે છે.
તેમણે કહ્યું, “આ આરોપો પાયાવિહોણા છે. અમારી નીતિ ક્યારેય કોઈ અન્ય દેશ વિરુદ્ધ અમારી જમીનનો ઉપયોગ કરવાની મંજૂરી આપતી નથી. અમે એક સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે ભારત સાથે સંબંધો જાળવીએ છીએ અને અમારા રાષ્ટ્રીય હિતોને અનુરૂપ તેમને વધુ મજબૂત કરીશું.”
તાલિબાનના સ્થાપક મુલ્લા ઉમરના પુત્ર યાકુબે અલ જીઝા સાથે વાત કરતા એમ પણ કહ્યું કે પાકિસ્તાન સાથે શાંતિ જાળવી રાખવા માટે પરસ્પર સન્માન અને સમાધાન માટે પ્રતિબદ્ધતા જરૂરી છે. તેમણે કહ્યું કે કતાર અને તુર્કીએ બંને દેશો વચ્ચેના કરારના અમલીકરણ પર નજર રાખવી જોઈએ.
11 ઓક્ટોબરના કાબુલમાં થયેલા વિસ્ફોટોના દિવસો બાદ અફઘાનિસ્તાન અને પાકિસ્તાનની સરહદ પર હિંસા ફાટી નીકળી હતી. આ વિસ્ફોટો ત્યારે થયા જ્યારે તાલિબાનના વિદેશ મંત્રી આમિર ખાન મુત્તાકી ભારતની ઐતિહાસિક મુલાકાતે હતા. આ પછી, તાલિબાન દળોએ દક્ષિણ સરહદ પર જવાબી કાર્યવાહી કરી, જેમાં પાકિસ્તાનની ઘણી જગ્યાઓને નિશાન બનાવવામાં આવી.
પાકિસ્તાનનો આરોપ છે કે તાલિબાન સરકાર આતંકવાદી સંગઠનો, ખાસ કરીને TTP (તહેરીક-એ-તાલિબાન પાકિસ્તાન)ને આશ્રય આપી રહી છે અને તેઓ અફઘાનિસ્તાનની ધરતી પરથી પાકિસ્તાન પર હુમલો કરી રહ્યા છે. સાથે જ તાલિબાન સરકારનું કહેવું છે કે પાકિસ્તાનની આક્રમક કાર્યવાહી અને હવાઈ હુમલા વર્તમાન તણાવનું સાચું કારણ છે.

