રહેણાંક વિસ્તારના લોકો દુર્ગંધથી પરેશાન
મૃત માછલીઓનો યોગ્ય નિકાલ નહીં થાય તો ગામમાં રોગચાળો ફાટી નીકળવાની દહેશત : તંત્રમાં રજૂઆત કરાઈ
સુઈગામ, સુઈગામ તાલુકાના છેવાડાના ભરડવા ગામના તળાવમાં પાણીનું સ્તર ઘટી જતાં અને ઉનાળાની અસહ્ય ગરમીના કારણે તળાવમાં રહેલી સેંકડો માછલીઓના મોત નીપજ્યાં છે. મૃત માછલીઓની દુર્ગંધથી આજુબાજુના અને ગામના લોકો હેરાન પરેશાન થઈ ગયા છે અને રોગચાળો ફાટી નીકળવાની દહેશતના પહલે ગ્રામજનો ચિંતિત બન્યા છે.
સુઈગામ તાલુકાના છેવાડાના ભરડવા ગામ નજીકના તળાવમાં વરસાદી પાણીમાં હજારો માછલી જોવા મળી હતી. ક્ષારના કારણે તળાવનું પાણી ખારું બની ગયું હતું અને ઉનાળાની ગરમીના કારણે પાણીનું સ્તર ઘટી જતાં અને પાણી ગરમ થતાં તળાવમાં રહેલી સેંકડો માછલીઓનાં મોત નીપજ્યા હતા. આ બાબતે ગામના લક્ષ્મણભાઇ ચૌહાણે જણાવ્યું કે તળાવમાં મોટી સંખ્યામાં માછલીઓના મોતથી માથુ ફાટી જાય તેવી ફેલાયેલી દુર્ગંધથી આજુબાજુના રહીશો અને ગ્રામજનો હેરાન પરેશાન થઈ રહ્યા છે. તાકીદે મૃત માછલીઓનો યોગ્ય નિકાલ નહીં થાય તો ગામમાં રોગચાળો ફાટી નીકળવાની પણ સંભાવના છે. ત્યારે જવાબદાર તંત્ર દ્વારા તાકીદે દુર્ગંધ મારતી મૃત માછલીઓનો નિકાલ કરવામાં આવે તેવી રજૂઆત છે.SS1

