નવી દિલ્હીઃ ઈરાનના ચાબહાર પોર્ટ પર અમેરિકી પ્રતિબંધોમાંથી ભારતની છ મહિનાની મુક્તિએ દક્ષિણ એશિયાના ભૌગોલિક રાજકારણમાં નવી હલચલ મચાવી છે. ભારત માટે આ વ્યૂહાત્મક રાહત અફઘાનિસ્તાન અને મધ્ય એશિયામાં વેપારની પહોંચને સરળ બનાવશે.
આ અંગે પાકિસ્તાને આકરી પ્રતિક્રિયા આપી છે. ઈસ્લામાબાદે આશંકા વ્યક્ત કરી છે કે ભારત આ છૂટનો ઉપયોગ બલુચિસ્તાન પ્રાંતમાં હિંસા ફેલાવવા માટે કરી શકે છે.
અમેરિકા તરફથી ભારતને મળેલી આ રાહત બાદ પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે શુક્રવારે એક નિવેદન જારી કરીને કહ્યું કે ઈસ્લામાબાદ આ ઘટનાક્રમ પર ચાંપતી નજર રાખી રહ્યું છે. મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું કે અમે ઈરાનના આર્થિક વિકાસમાં મદદરૂપ થતા કોઈપણ પગલાનું સ્વાગત કરીએ છીએ. જો કે, અમે આશા રાખીએ છીએ કે ભારત આ છૂટનો ઉપયોગ પાકિસ્તાન વિરુદ્ધ કોઈપણ પ્રવૃત્તિ માટે નહીં કરે.
બલૂચ લિબરેશન આર્મી (બીએલએ) નો ઉલ્લેખ કરતા પ્રવક્તાએ આરોપ લગાવ્યો કે ભારતે ભૂતકાળમાં પણ સરહદ પારના આતંકવાદ અને તોડફોડની પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપ્યું છે. તેમણે ચેતવણી આપી હતી કે આ હેતુ માટે ચાબહાર પોર્ટનો ઉપયોગ ન કરવો જોઈએ. પાકિસ્તાનનો દાવો છે કે ભારત અફઘાનિસ્તાન મારફતે બલૂચિસ્તાનમાં હિંસાને પ્રોત્સાહન આપે છે, જોકે ભારતે આ આરોપોને પાયાવિહોણા ગણાવીને ફગાવી દીધા છે.
ચાબહાર બંદર પાકિસ્તાનને બાયપાસ કરીને ભારત, ઈરાન અને અફઘાનિસ્તાન વચ્ચે વૈકલ્પિક વેપાર કોરિડોર પૂરો પાડે છે. આ બંદર વ્યૂહાત્મક રીતે ગ્વાદર પોર્ટ (જે ચીન પાકિસ્તાનમાં વિકાસ કરી રહ્યું છે)ની ખૂબ નજીક છે. ગયા વર્ષે, ભારતે ચાબહાર પોર્ટના વિકાસ અને સંચાલન માટે ઈરાન સાથે 10 વર્ષના કરાર પર હસ્તાક્ષર કર્યા હતા.
બીજી તરફ, ભારતે તાજેતરના મહિનાઓમાં અફઘાનિસ્તાન સાથેના સંબંધોને પુનર્જીવિત કર્યા છે. તાલિબાન શાસન દરમિયાન બંધ કરવામાં આવેલ ભારતીય દૂતાવાસ હવે ફરી કામ કરવા માટે સક્રિય છે. ચાબહાર પોર્ટ દ્વારા ભારતની આ નવી વ્યૂહરચના પ્રાદેશિક જોડાણ અને સ્થિરતા તરફ એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહી છે.

