એકાદશીના અવસર પર આંધ્રપ્રદેશના કાસીબુગ્ગામાં વેંકટેશ્વર સ્વામીના મંદિરમાં ભારે ભીડ એકઠી થઈ હતી. દરમિયાન, સવારે લગભગ 11.30 વાગે નાસભાગ મચી ગઈ જેમાં ઓછામાં ઓછા 10 લોકોના મોત થયા અને ડઝનેક લોકો ઘાયલ થયા. મૃત્યુ પામેલાઓમાં મોટાભાગની મહિલાઓ છે. ઘટનાના દર્દનાક વીડિયો પણ સામે આવી રહ્યા છે. રાજ્યના ગૃહમંત્રી વી અનિતાએ જણાવ્યું કે રેલિંગ તૂટવાને કારણે આ અકસ્માત થયો હતો. તેમણે કહ્યું કે, મંદિર પહેલા માળે ઉંચાઈ પર આવેલું છે અને જ્યારે ભક્તો ચઢી રહ્યા હતા ત્યારે રેલિંગ તૂટી ગઈ, જેના કારણે એક ખૂણામાં ઉભેલા લોકો પડી ગયા અને કેટલાક લોકો તેમના પર પડ્યા.
કાસીબુગ્ગા વેંકટેશ્વર મંદિર એ એક ખાનગી મંદિર છે અને એન્ડોમેન્ટ્સ વિભાગ હેઠળ નથી એમ જણાવતા, અનિતાએ કહ્યું કે દર શનિવારે 1,500 થી 2,000 ભક્તો અહીં આવે તે સામાન્ય છે. શ્રીકાકુલમ જિલ્લા મેજિસ્ટ્રેટ સ્વપ્નિલ દિનકર પુંડકરે કહ્યું, ‘કુલ 10 લોકોના મોત થયા છે. જેમાંથી સાતના ઘટનાસ્થળે અને ત્રણના સારવાર દરમિયાન મોત થયા હતા. તેમણે કહ્યું કે મૃતકોમાં મોટાભાગની મહિલાઓનો સમાવેશ થાય છે.
મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે આટલી મોટી ભીડ હોવા છતાં કોઈ ખાસ સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી નથી. આ સિવાય ભીડ વ્યવસ્થાપન માટે કોઈ બેરિકેડિંગ નહોતું. મંદિરના જે ભાગ પર નાસભાગ મચી હતી તે ભાગ હજુ પણ નિર્માણાધીન હતો. મંદિરમાં પ્રવેશવાનો અને બહાર જવાનો એક જ રસ્તો હતો. તેથી અકસ્માતની શક્યતા નકારી શકાતી નથી.
આ ઘટના પર શોક વ્યક્ત કરતા, આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન ચંદ્રબાબુ નાયડુએ ‘X’ પર એક પોસ્ટમાં કહ્યું, ‘શ્રીકાકુલમ જિલ્લાના કાસીબુગ્ગા વેંકટેશ્વર મંદિરમાં થયેલી ભાગદોડથી હું ખૂબ જ દુઃખી છું. આ દુર્ભાગ્યપૂર્ણ ઘટનામાં ભક્તોના મોત થયા તે ખૂબ જ દુઃખદ છે. હું પીડિતોના પરિવારો પ્રત્યે મારી ઊંડી સંવેદના વ્યક્ત કરું છું. મુખ્યમંત્રીએ એમ પણ કહ્યું કે તેમણે અધિકારીઓને ઘાયલોની સારી સારવાર સુનિશ્ચિત કરવા સૂચના આપી છે. નાયડુએ કહ્યું કે તેમણે અધિકારીઓ અને સ્થાનિક નેતાઓને નાસભાગના સ્થળે રાહત કામગીરી પર નજર રાખવા સૂચના આપી છે.
પોલીસના જણાવ્યા અનુસાર એકાદશીના અવસર પર દસ હજારથી વધુ ભક્તો મંદિરમાં દર્શન માટે પહોંચ્યા હતા. આ દરમિયાન કેટલાક ભક્તોએ એન્ટ્રી ગેટને બદલે એક્ઝિટ ગેટથી મંદિરમાં પ્રવેશવાનો પ્રયાસ શરૂ કર્યો હતો, જેના કારણે અરાજકતા સર્જાઈ હતી અને નાસભાગ મચી ગઈ હતી. માહિતી અનુસાર, શ્રી વેંકટેશ્વર મંદિર લગભગ 20 કરોડ રૂપિયાના ખર્ચે 12 એકર જમીન પર બનાવવામાં આવ્યું છે અને તેનું ઉદ્ઘાટન આ વર્ષે મે મહિનામાં કરવામાં આવ્યું હતું.

