નવી દિલ્હીઃદિલ્હી-NCRની હવા ફરી એકવાર ઝેરી બની ગઈ છે. 10 નવેમ્બર, 2025 ના રોજ, રાજધાનીમાં સરેરાશ હવા ગુણવત્તા સૂચકાંક (AQI) 370 અને 390 ની વચ્ચે નોંધાયો હતો, જે ‘ખૂબ જ નબળી’ શ્રેણીમાં આવે છે. કેટલાક વિસ્તારોમાં તે 400ને પાર કરી ગયો છે, જે ‘ગંભીર’ શ્રેણીમાં છે. આ સ્થિતિ બાળકો અને વૃદ્ધો માટે ખૂબ જ જોખમી માનવામાં આવે છે. દર વર્ષની જેમ આ વખતે પણ શિયાળાની સાથે પ્રદૂષણનું સ્તર વધતાં શાળાઓ બંધ રાખવાની ચર્ચાએ જોર પકડ્યું છે. દિલ્હી સરકાર અને કમિશન ફોર એર ક્વોલિટી મેનેજમેન્ટ (CAQM) પ્રદૂષણને નિયંત્રિત કરવા માટે ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન (GRAP) હેઠળ જરૂરી પગલાં લઈ રહ્યા છે.
જો કે, હજુ સુધી શાળા બંધ કરવા કે ઓનલાઈન વર્ગો શરૂ કરવા અંગે કોઈ જાહેરાત કરવામાં આવી નથી. પાછલા વર્ષોના ટ્રેન્ડને ધ્યાનમાં રાખીને આ નિર્ણય ટૂંક સમયમાં લેવામાં આવી શકે છે. નિષ્ણાતો કહે છે કે બાળકોના ફેફસા વિકાસના તબક્કામાં છે, તેથી ઝેરી હવાનો સંપર્ક તેમના સ્વાસ્થ્ય માટે અત્યંત નુકસાનકારક છે.
દિલ્હી, નોઈડા, ગાઝિયાબાદ, ગ્રેટર નોઈડા અને ગુરુગ્રામની હવામાં પ્રદૂષણનું સ્તર ઝડપથી વધી ગયું છે. ઘણા વિસ્તારોમાં AQI 400 થી ઉપર ગયો છે. સવાર અને સાંજના ધુમ્મસના કારણે વિઝિબિલિટી ઘટી રહી છે અને શ્વાસ લેવામાં તકલીફની ફરિયાદ વધી છે. ડૉક્ટરોનું કહેવું છે કે આ હવા બાળકો, વૃદ્ધો અને અસ્થમાના દર્દીઓ માટે અત્યંત હાનિકારક છે.
દિલ્હી સરકારે હાલમાં શાળાઓને બંધ કરવાનો નિર્ણય લીધો નથી, પરંતુ સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. અગાઉના વર્ષોમાં, જ્યારે AQI 450 ને પાર કરી ગયો હતો, ત્યારે સરકારે અસ્થાયી ધોરણે શાળાઓ બંધ કરી દીધી હતી અને ઑનલાઇન વર્ગો શરૂ કર્યા હતા. હાલમાં જો પ્રદુષણનું સ્તર વધુ વધે તો ફરી આવી જ સિસ્ટમ લાગુ કરી શકાય છે.
વર્તમાન પરિસ્થિતિમાં બાળકોએ સવાર-સાંજ ઘરની બહાર નીકળવાનું ટાળવું જોઈએ. જો શાળાએ જવું જરૂરી હોય, તો N-95 અથવા N-99 માસ્ક પહેરો. તેમજ હાઈડ્રેટેડ રહો, જો આંખોમાં કોઈ બળતરા કે ગળામાં ખરાશ હોય તો તરત જ ડોક્ટરની સલાહ લો. અત્યારે આઉટડોર ગેમ્સથી દૂર રહેવું વધુ સારું છે.

