બલૂચ વિદ્રોહીઓએ પાકિસ્તાન સરકારને પરેશાન કરી છે. બલૂચ ઘણીવાર બલૂચિસ્તાનમાંથી પસાર થતી ટ્રેનોને નિશાન બનાવે છે. બલૂચ વિદ્રોહીઓએ ફરી એકવાર નસીરાબાદ જિલ્લામાં જાફર એક્સપ્રેસ પર મોટો હુમલો કરવાનો પ્રયાસ કર્યો. મળતી માહિતી મુજબ ટ્રેનના પાટા પર જ વિસ્ફોટકો લગાવવામાં આવ્યા હતા. જોકે, ટ્રેન પસાર થયા બાદ વિસ્ફોટ થયો હતો. પાકિસ્તાની અધિકારીઓના જણાવ્યા અનુસાર શહીદ અબ્દુલ બુલો વિસ્તારમાં રેલ્વે ટ્રેક પર બોમ્બ મુકવામાં આવ્યો હતો. આ ટ્રેન ક્વેટાથી પેશાવર જઈ રહી હતી. હુમલામાં કોઈ મુસાફર કે કર્મચારીને ઈજા થઈ નથી.
પાકિસ્તાન રેલ્વેએ બલૂચિસ્તાનમાં સુરક્ષાની ચિંતાઓને ધ્યાનમાં રાખીને રવિવારથી ચાર દિવસ માટે ક્વેટા અને પેશાવર વચ્ચે જાફર એક્સપ્રેસ સેવાઓ સ્થગિત કરી દીધી હતી. થોડા મહિના પહેલા આ ટ્રેન પર થયેલા હુમલામાં 26 લોકો માર્યા ગયા હતા. રેલ્વે અધિકારીઓએ જણાવ્યું હતું કે મુસાફરો, રેલ્વે કર્મચારીઓ, નાગરિકો અને મહત્વપૂર્ણ રેલ્વે સંપત્તિની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે સુરક્ષા અને ગુપ્તચર એજન્સીઓની સલાહ પર આ ટ્રેનની સેવા 9 થી 12 નવેમ્બર સુધી સ્થગિત કરવાનો અસ્થાયી નિર્ણય લેવામાં આવ્યો હતો.
તાજેતરના મહિનાઓમાં વિદ્રોહીઓ અને આતંકવાદીઓ દ્વારા જાફર એક્સપ્રેસને વારંવાર નિશાન બનાવવામાં આવી છે. માર્ચમાં, પ્રતિબંધિત બલૂચિસ્તાન લિબરેશન આર્મી (BLA) એ 380 મુસાફરોને લઈ જતી જાફર એક્સપ્રેસને હાઈજેક કરી હતી. સંઘર્ષ બે દિવસ સુધી ચાલ્યો અને સુરક્ષા દળો સાથેની અથડામણમાં 26 મુસાફરોએ જીવ ગુમાવ્યો અને 33 અન્ય બળવાખોરો માર્યા ગયા. ઓક્ટોબર મહિનામાં, ટ્રેક પર વિસ્ફોટને કારણે, ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ હતી અને મોટી સંખ્યામાં મુસાફરો ઘાયલ થયા હતા.

