વર્લ્ડ કપ જીત્યા બાદ અલગ-અલગ બ્રાન્ડે ભારતીય મહિલા ક્રિકેટરોમાં પણ રસ દાખવવાનું શરૂ કરી દીધું છે. આ ખેલાડીઓમાં કેપ્ટન હરમનપ્રીત કૌરનો પણ સમાવેશ થાય છે, જેનો એન્ડોર્સમેન્ટ પોર્ટફોલિયો આગામી મહિનામાં ત્રણ ગણો વધવાની ધારણા છે.
નવી મુંબઈમાં રમાયેલી ફાઈનલમાં નાદીન ડી ક્લાર્કનો કેચ લઈને ભારતને સાઉથ આફ્રિકા સામે જીત અપાવનારી હરમનપ્રીત વર્લ્ડ કપ પહેલા આઠથી વધુ બ્રાન્ડ સાથે જોડાયેલી હતી, પરંતુ તેની મેનેજર નૂપુર કશ્યપે કહ્યું કે હવે આ બદલાવ આવી રહ્યો છે.
કશ્યપે પીટીઆઈને કહ્યું, ‘વર્લ્ડ કપ પહેલા હરમનપ્રીત 8-10 બ્રાન્ડ્સ સાથે સંકળાયેલી હતી પરંતુ વર્લ્ડ કપ પછી તેની વેલ્યુ અને બ્રાન્ડ્સની સંખ્યા ત્રણ ગણી વધવાની આશા છે. બિન રમતગમતના પરંપરાગત ક્ષેત્રોની બ્રાન્ડ્સ તેમની પાસે આવી રહી છે અને તેમની સાથે જોડાવા તૈયાર છે.
કશ્યપે કહ્યું કે 2017ની ફાઈનલ ભારતમાં મહિલા ક્રિકેટ માટે એક મોટી સિદ્ધિ હતી, પરંતુ આઠ વર્ષ બાદ આ ખિતાબ જીતવાથી રમતની લોકપ્રિયતા અને બ્રાન્ડની રુચિને બીજા સ્તરે લઈ ગઈ છે.
તેણે કહ્યું, ‘ખેલાડીઓના બિઝનેસ મેનેજર હોવાના કારણે મેં જોયું છે કે મહિલા ક્રિકેટમાં ખાસ કરીને વર્લ્ડ કપ જીત્યા બાદ રસ અને રોકાણમાં નોંધપાત્ર વધારો થયો છે. પહેલા મહિલા ખેલાડીઓ અમુક બ્રાન્ડ્સ સુધી મર્યાદિત હતી પરંતુ હવે એવું નથી. હવે આપણે માનસિકતામાં ઘણો બદલાવ જોઈ રહ્યા છીએ.

