પાકિસ્તાનના ભૂતપૂર્વ ટેસ્ટ કેપ્ટન અઝહર અલીએ રાષ્ટ્રીય પસંદગી સમિતિમાંથી રાજીનામું આપી દીધું છે અને રાષ્ટ્રીય ક્રિકેટ એકેડમીના યુવા વિકાસ વિભાગના વડાનું પદ પણ છોડી દીધું છે. વિશ્વસનીય સૂત્રોએ જણાવ્યું હતું કે તેણે પોતાનું રાજીનામું પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને સુપરત કર્યું છે. આ પહેલા પૂર્વ ટેસ્ટ કેપ્ટન સરફરાઝ અહેમદને પાકિસ્તાન શાહિન્સ અને અંડર-19 ટીમોની સંપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી હતી.
સૂત્રએ જણાવ્યું હતું કે, “અઝહરે આ અઠવાડિયે બોર્ડને પોતાનું રાજીનામું સુપરત કર્યું હતું, જેને સ્વીકારવામાં આવ્યું હતું.” પાકિસ્તાન માટે 97 ટેસ્ટ રમનાર અઝહર ગયા વર્ષે જ પસંદગીકાર બન્યો હતો પરંતુ તે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડની કામગીરીથી ઘણો નારાજ હતો. અઝહર અલીનું માનવું હતું કે સરફરાઝ અહેમદને આપવામાં આવેલી નવી ભૂમિકાઓ તેમને યુવા વિકાસ વિભાગના વડા તરીકે આપવામાં આવેલી જવાબદારીઓ સાથે ખૂબ સમાન હતી, જેના કારણે તેમની પોસ્ટ અપ્રસ્તુત બની હતી. ઉપરાંત, એકેડમીમાં યુવા ક્રિકેટરોને તૈયાર કરવા માટેના તેમના કેટલાક પ્રસ્તાવોને આગળ લેવામાં આવ્યા ન હતા.
અઝહર અલીને ઓક્ટોબર 2024માં નેશનલ સિલેક્શન કમિટીના સભ્ય બનાવવામાં આવ્યા હતા અને એક મહિના બાદ તેમને યુવા વિકાસના વડાની મહત્વની જવાબદારી પણ સોંપવામાં આવી હતી. તેમનું રાજીનામું પાકિસ્તાન ક્રિકેટમાં ચાલી રહેલી આંતરિક ઉથલપાથલને પ્રતિબિંબિત કરે છે, જ્યાં તાજેતરના વર્ષોમાં ઘણા ભૂતપૂર્વ ખેલાડીઓ અને કોચ તેમના કરાર પૂર્ણ કર્યા વિના બોર્ડ છોડી ગયા છે.
સૂત્રએ કહ્યું કે અઝહર નિરાશ થયો જ્યારે બોર્ડે અચાનક શાહીન અને અંડર-19 ક્રિકેટ સાથે સંબંધિત તમામ બાબતો સરફરાઝ સાથે વાત કર્યા વિના તેને સોંપવાનો નિર્ણય લીધો. તેણે વધુમાં ઉમેર્યું હતું કે, “અઝહરને લાગ્યું કે હવે જ્યારે સરફરાઝને શાહીન અને અંડર-19 ટીમો ચલાવવા માટે કહેવામાં આવ્યું છે, યુવા વિકાસના વડા તરીકેની મોટાભાગની જવાબદારીઓ તેની સંમતિ વિના છીનવી લેવામાં આવી છે, તેથી તેણે રાજીનામું આપવાનું નક્કી કર્યું.”

