Sandesara case supreme court: મોટા નાણાકીય ગોટાળાથી જોડાયેલા સ્ટર્લિંગ બાયોટેક મામલામાં સુપ્રીમ કોર્ટમાં મહત્વપૂર્ણ વળાંક આવ્યો છે. જાહેરક્ષેત્રની બેન્કો અને સપ્લાયર્સના આશરે 18000 કરોડ રૂપિયા ડૂબાડનાર નીતિન સાંડેસરા અને ચેતન સાંડેસરાની 5100 કરોડ રૂપિયા 30 દિવસમાં જમા કરાવવાની દરખાસ્ત સોલિસિટર જનરલ તુષાર મહેતાએ સ્વીકારી લીધી છે. આ ચુકાદાથી રાજકીય અને આર્થિક ક્ષેત્રમાં મોટા સવાલો ઊભા થઈ રહ્યા છે કારણ કે એટલા ભારે ડિફોલ્ટ સામે ઓછી રકમ જમા કરીને મુક્તિ મળે તે મુદ્દો ચર્ચામાં રહ્યો છે. સાંડેસરા કેસમાં અગાઉ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલનું નામ પણ ચર્ચામાં આવ્યું હતું.
18000 કરોડ સામે 5100 કરોડનો પ્રસ્તાવ અને સુપ્રીમ કોર્ટની શરત
કોર્ટને મૂકવામાં આવેલી દરખાસ્ત અનુસાર જો બંને ભાઈઓ તદ્દન 5100 કરોડ રૂપિયા 17 ડિસેમ્બર સુધીમાં જમા કરશે તો તેમના વિરુદ્ધના અનેક ગંભીર આરોપો બંધ કરી દેવામાં આવી શકે છે. સિનિયર કાઉન્સેલ મુકુલ રોહતગીએ આ પ્રસ્તાવ રજૂ કર્યો હતો અને સરકાર તરફથી તેને મંજુરી મળી છે. જો નક્કી કરેલી સમયમર્યાદામાં રકમ જમા કરાવામાં નિષ્ફળતા રહેશે તો સુપ્રીમ કોર્ટનો આદેશ આપોઆપ રદ થઈ જશે અને એડીએ તથા સીઆઈબી દ્વારા દાખલ ચાર્જશીટ મુજબ કાર્યવાહી ફરી શરૂ થશે.
બેન્કોની નારાજગી અને ભવિષ્યનું જોખમ
બેન્કિંગ ક્ષેત્રે આ નિર્ણયને લઇ અસંતોષ જોવા મળી રહ્યો છે. બેન્કરના મતે જો 75 ટકા રકમ માફ કરીને આ પ્રકારના સેટલમેન્ટ કરવામાં આવશે તો ભવિષ્યમાં નિરવ મોદી, મેહુલ ચોકસી, વિજય માલ્યા જેવા મોટા ડિફોલ્ટર્સ માટે પણ સરળ માર્ગ તૈયાર થઈ શકે છે. નાની રકમ ચૂકવીને ગુનામાંથી છુટકારો મેળવી લેવાની પરંપરા શરૂ થવાથી બેન્કોમાં જોખમ વધે તેવી ચિંતા વ્યક્ત થઈ રહી છે.
વિદેશી બોન્ડ ઇન્વેસ્ટર્સ કેસમાંથી બહાર
ફોરેન કન્વર્ટિબલ બોન્ડમાં રોકાણ કરનારાઓ આજે કેસમાંથી દુર થઈ ગયા છે અને પોતાના 600 કરોડ તથા વ્યાજ સહિત 1800 કરોડની વસૂલાત માટે અલગ કેસ કરવાની રાહ પસંદ કરી છે. પરિણામે મુખ્ય બાકી લેણું 20000 કરોડમાંથી ઘટીને 18000 કરોડ રહે છે. ગલ્ફ દેશો, યુકે, અમેરિકા અને યુરોપિયન દેશોના ઇન્વેસ્ટર્સ પણ તેમના નાણાંની વસૂલાત માટે જુદી કાર્યવાહી કરી રહ્યા છે.

